પશ્ર્ચિમ રેલ્વેના ઈતિહાસમાં પ્રથમ વખત મુસાફરોની પુછપરછ વ્યવસ્થાનુ આઉટસોર્સિંગ કરીને રેલ્વે તંત્ર મોટી ડિઝિટલ બદલાવ લાવી રહ્યુ છે. દાહોદ સહિતના રતલામ મંડળના ૯ અતિ વ્યસ્ત સ્ટેશનોના ૧૦ પુછપરછ કાઉન્ટરો હવે આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ બેઝ્ડ ‘સ્માર્ટ કાઉન્ટર’ તરીકે ઓળખાશે. આ કાઉન્ટર્સ પર તૈનાત સ્ટાફ ગ્રામિણ વડીલો અને પરપ્રાંતિય શ્રમિકોની સુવિધા માટે ગુજરાતી, માલવી અને રાજસ્થાની સહિત ૫ ભાષાઓમાં સીધો સંવાદ કરશે. આ હાઈટેક વ્યવસ્થાના કારણે ટ્રેનની સચોટ માહિતી તો મળશે જ સાથે સાથે સ્ટેશનની સફાઈ, લાઈટ-પંખા, અને ખાણી-પીણીની ઓવરચાર્જિંગની ફરિયાદોનુ પણ લાઈવ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ(એમઆઈએસ)દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી સીધુ મોનીટરીંગ થશે. દાહોદ સહિત રતલામ રેલ્વે મંડળમાં મુસાફરોની સુવિધા માટે આ કાઉન્ટર્સ પર કોમ્પ્યુટર અને આધુનિક ટેક્નિકોથી સજ્જ પ્રશિક્ષિત સ્ટાફ ૨૪ કલાક તૈનાત રહેશે. જે એ.આઈ.બેઝ્ડ ઈન્કવાયરી હેન્ડલિંગ ટેકનોલોજીની મદદથી તુરંત જ ટ્રેનોનુ સચોટ લાઈવ લોકેશન અને ઉપલબ્ધતાની રિયલ ટાઈમ માહિતી આપશે. આ કેન્દ્રો માત્ર પુછપરછ પુરતા સિમીત ન રહેતા અન્ય સેવાઓનો લાઈવ ડેટા મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ(એમઆઈએસ)અંતર્ગત સીધો ઉચ્ચ અધિકારીઓને મોકલશે. ટુંક સમયમાં જ ઇન્દોરમાં બે કાઉન્ટર સહિત દાહોદ, રતલામ, ઉજજૈન, દેવાસ, મહો, નાગદા, નીમચ અને ચિત્તોડગઢ સ્ટેશનો પર આ કાઉન્ટર્સ ખુલ્લા મુકાશે.