
સંખેડા તાલુકાના કાવીઠા ગામે ગત રાત્રિએ એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. કૂતરાએ ગામમાં સૂતેલા ૧૦ થી ૧૨ લોકોને બચકા ભર્યા હતા, જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સંખેડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઘાયલોમાં રમેશભાઈ ગેમાભાઈ નાયક (ઉંમર ૬૦-૭૦ વર્ષ) ને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.
હડકાયા કૂતરાએ માત્ર મનુષ્યોને જ નહીં, પરંતુ ગાય અને ભેંસ સહિતના પશુઓને પણ બચકા ભર્યા હતા. આ ઘટના બાદ ગામના નાના બાળકો બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ હડકાયા કૂતરાને પકડીને વશમાં લેવાની માંગ કરી છે, જેથી ગામમાં પ્રવર્તમાન ભય અને દહેશતનો માહોલ દૂર થઈ શકે.