કચ્છમાં  નવા  કલેક્ટર અને ગાંધીધામના નવા મ્યુનિસિપલ કમિશનરથી વિકાસને નવી દિશા મળશે

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યભરના આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશ જાહેર કરવામાં આવ્યા બાદ કચ્છ જિલ્લામાં પણ વહીવટી સ્તરે મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે. ખાસ કરીને કચ્છ-ભુજના નવા કલેક્ટર તરીકે અનુભવી અધિકારી આનંદ બાબુલાલ પટેલની નિમણૂક તથા ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મનીષ ગુરવાણીની નિમણૂકને જિલ્લા વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોને માત્ર સામાન્ય બદલી નહીં, પરંતુ વિકાસમુખી વહીવટી ગોઠવણી તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. કચ્છ જેવો વિશાળ અને વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતો જિલ્લો ઉદ્યોગ, બંદરો, પર્યટન, સરહદી સુરક્ષા અને શહેરી વિકાસના અનેક મુદ્દાઓ સાથે સતત આગળ વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અનુભવી અને દ્રષ્ટિવાળા અધિકારીઓની નિમણૂક જિલ્લાની આગામી વિકાસયાત્રામાં નવી ગતિ લાવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

કચ્છના નવા કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા આનંદ બાબુલાલ પટેલ વર્ષ ૨૦૧૦ની બેચના આઈએએસ અધિકારી છે. તેઓ અગાઉ ગાંધીનગર ખાતે સ્કૂલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. શિક્ષણ, આયોજન અને વહીવટી ક્ષેત્રે તેમના અનુભવોને કારણે તેઓ રાજ્યના સક્રિય અધિકારીઓમાં ગણાય છે. તે કામગીરીમાં શિસ્ત, ઝડપી નિર્ણયક્ષમતા અને જનકેન્દ્રિત અભિગમ માટે જાણીતા છે. કચ્છ જેવા પડકારસભર જિલ્લામાં હવે તેઓ વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

આનંદ પટેલની નિમણૂક સાથે અગાઉ કચ્છ-ભુજના કલેક્ટર તરીકે સેવા આપનાર અમિતકુમાર અરોરાની બદલી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪ની બેચના આઈએએસ અધિકારી અરોરાએ કચ્છ જિલ્લામાં અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. ખાસ કરીને વહીવટી પારદર્શિતા, વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ અને લોકસંપર્કમાં તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી. હવે તેઓને અન્ય મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.બીજી તરફ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મ્યુનિસિપલ કમિશનરની બદલી ચર્ચાનો વિષય બની છે. ગાંધીધામના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે વર્ષ ૨૦૧૭ની બેચના આઈએએસ અધિકારી શ્રી મનીષ ગુરવાણીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ “જાઈન્ટ ડેવલપમેન્ટ ઓફિસર” તરીકે કામગીરી સંભાળી ચૂક્યા છે અને શહેરી વિકાસ સંબંધિત બાબતોમાં તેમનો અનુભવ નોંધપાત્ર માનવામાં આવે છે. ગાંધીધામ શહેરમાં વધતી વસ્તી, ટ્રાફિક, સફાઈ, ડ્રેનેજ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નોને ધ્યાનમાં રાખતા તેમની નિમણૂક મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

મનીષ ગુરવાણીની જગ્યાએ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે સંકળાયેલા અધિકારી શ્રી ડી. જી. દેવડાની ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમણૂક કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વહીવટી ગોઠવણીઓના આ ફેરફારોને કારણે આગામી દિવસોમાં ગાંધીધામ સહિત સમગ્ર કચ્છમાં વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળશે તેવી શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છમાં હાલમાં ઔદ્યોગિક રોકાણ, બંદર આધારિત વિકાસ, શહેરીકરણ અને પર્યટન ક્ષેત્રે ઝડપી પરિવર્તન થઈ રહ્યું છે. આવા સમયમાં વહીવટી તંત્રમાં થયેલા આ ફેરફારો જિલ્લાની પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. નવી નિમણૂક પામેલા અધિકારીઓ હવે લોકોની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલ તો સમગ્ર જિલ્લામાં આ બદલીઓને લઈને ચર્ચા અને ઉત્સુકતા બંને જાવા મળી રહી છે.