મહીસાગર જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત પંચાયત સદસ્યો માટે RGSA યોજના અંતર્ગત ‘ક્ષમતા નિર્માણ વર્ગ’ યોજાયો

ગ્રામીણ વિકાસના પાયા સમાન પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સુદ્રઢ કરવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના કાર્યો પ્રત્યે માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી, આજરોજ મહીસાગર જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત ચૂંટાયેલા તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) યોજના હેઠળ એક વિશેષ ‘ક્ષમતા નિર્માણ વર્ગ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહત્વપૂર્ણ વર્કશોપમાં મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીઓ, વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નવનિયુક્ત સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે ઉપસ્થિત તમામ નવનિયુક્ત પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. તેમણે ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરનો ઉલ્લેખ કરી તમામને લોકસેવાના કાર્યો માટે યોગ્ય પ્રશિક્ષણ મેળવીને સુસજ્જ થવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વર્કશોપમાં વિશેષ કરીને ‘વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM G અધિનિયમ ૨૦૨૫’ અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ તાલીમ વર્ગમાં નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા પંચાયતી રાજની મૂળભૂત વિભાવનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ પંચાયતોની વિવિધ ફરજો, ભૂમિકાઓ અને વહીવટી જવાબદારીઓ,સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને લોકલાઇઝ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (LSDGs) હાંસલ કરવામાં ગ્રામ પંચાયતની સક્રિય ભૂમિકા,૧૫મા નાણાપંચના વિવિધ અધિનિયમો અને સરકારી માર્ગદર્શિકાઓની સમજ અને પંચાયતી રાજના ૨૯ વિષયો અને તેના અમલીકરણમાં પંચાયતની ભૂમિકા જેવા  વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી

કાર્યક્રમના અંતમાં સહભાગી પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોત્તરી (Q&A) સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં સદસ્યોએ અન્ય વિવિધ સરકારી યોજનાઓ અને તેના લાભો છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચાડવા તે વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. નવનિયુક્ત સદસ્યોના જ્ઞાન અને વહીવટી કુશળતામાં વધારો કરવા માટે આ વર્કશોપ અત્યંત ફળદાયી નીવડ્યો હતો.