ગરબાડા-દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માત ટાળવા ફોરલેન બનાવાવા માંગણી પ્રબળ બની

ગરબાડા-દાહોદ નેશનલ હાઈવે અકસ્માત ઝોન બન્યો છે. જેને કારણે અવાર નવાર થતાં અકસ્માતોની ધટનાઓને ઘ્યાન પર લઈને ફોર લેન રોડ બનાવવાની તાકિદે જરૂરત હોવાની લોકમાંગ ઉઠી છે. 18 કિ.મી.લાંબો આ રોડ ઉતાર-ચઢાવ અને વળાંકવાળો હોવાના કારણે અવાર નવાર અકસ્મતો બને છે. અને નિર્દોષ લોકો તેનો ભોગ બને છે.

ગરબાડા નવા તરીયા પાસે આવેલ પેટ્રોલપંપ નજીક હાલમાં જ એક કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પેટ્રોલપંપની નજીક તેમજ ગરબાડા દાહોદ નેશનલ હાઈવેના 17થી 18 કિ.મી.ના લાંબા રોડ પર અવાર નવાર અકસ્માતો સર્જાય છે. અને અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પડ્યો છે. અવાર નવાર આવા અકસ્મતો શા માટે બને છે તેના પાછળ ઝીણવટભરી તપાસ કરતા ગરબાડા-દાહોદ નેશનલ હાઈવેનો આ રોડ ઉતાર-ચઢાવ અને વળાંકવાળો હોવાના કારણે અનેક જગ્યાઓ પર સામેથી આવતા વાહનો દેખાતા નથી. અને તેના કારણે બંને તરફના વાહનચાલકો તેનો ભોગ બને છે. એકદમ નજીક આવ્યા બાદ જ વાહનો દેખાય છે. જેના કારણે અવાર નવાર અકસ્માતોની ધટના બનતી રહે છે. અનેક નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે. તંત્ર દ્વારા અહિંયા ફોરલેન રોડ બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.