
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં ૫ મેચની ટી ૨૦ અને ૩ મેચની વનડે શ્રેણી રમાશે. ત્યારબાદ, ભારત આવતા મહિને, ઓગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આજે, ૧ જુલાઈએ શ્રીલંકા પ્રવાસની જાહેરાત કરી, જેમાં ૨ ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. પહેલી મેચ ૧૫ ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ ૨૩ તારીખથી શરૂ થશે.
૨૦૨૬માં ભારતીય ટીમનું શેડ્યૂલ અત્યંત કડક રહેવાની ધારણા છે. ૧૯ જુલાઈએ અંતિમ વનડે રમ્યા બાદ, ભારત બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકા જશે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, પહેલી મેચ ૧૫ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન ગાલેમાં રમાશે. કોલંબોમાં બીજી ટેસ્ટ ૨૩ ઓગસ્ટથી શરૂ થશે. બધી મેચ ભારતીય સમય મુજબ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે શરૂ થવાની ધારણા છે, જાકે સમયની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પ્રથમ ટેસ્ટઃ ૧૫ થી ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬, ગાલે બીજી ટેસ્ટઃ ૨૩ થી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬, કોલંબો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની દ્રષ્ટિએ શ્રીલંકા શ્રેણી ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. વર્તમાન ચક્રમાં, ભારત દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે હારી ગયું છે. પરિણામે, ટીમ ઇન્ડિયા નવ મેચમાંથી ચાર જીત અને એટલી જ હાર સાથે પાંચમા સ્થાને છે. જાકે, બાંગ્લાદેશ ચાર મેચમાંથી બે જીત સાથે એક સ્થાન ઉપર છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટોચના ત્રણમાં પ્રભુત્વ ધરાવે છે. તેથી, ટોચના બેમાં સ્થાન મેળવવા માટે, ભારતે શ્રીલંકા સામેની શ્રેણી જીતવી પડશે.
ટીમ ઇન્ડિયાનો શ્રીલંકામાં ટેસ્ટ રેકોર્ડ ખાસ પ્રભાવશાળી નથી. ૨૭ મેચમાંથી, ભારતે નવ જીતી છે અને સાત હારી છે, જેમાંથી ૧૧ મેચ ડ્રો રહી છે. તેથી, ટીમ ઇન્ડિયા માટે શ્રીલંકા પ્રવાસ સરળ રહેશે નહીં.