બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાનના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું મંગળવારે નિધન થયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું, ભૂતપૂર્વ વડાપ્રધાન અને બીએનપી અયક્ષ બેગમ ખાલિદા ઝિયાના ઢાકામાં નિધન વિશે જાણીને ખૂબ દુ:ખ થયું. તેમના પરિવાર અને બાંગ્લાદેશના તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના. ભગવાન તેમના પરિવારને આ નુક્સાન સહન કરવાની શક્તિ આપે.

પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું, બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે, બાંગ્લાદેશના વિકાસ તેમજ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હંમેશા યાદ રહેશે. મને ૨૦૧૫ માં ઢાકામાં તેમની સાથેની મારી ઉષ્માભરી મુલાકાત યાદ છે. અમને આશા છે કે તેમનું વિઝન અને વારસો આપણી ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમના આત્માને શાંતિ મળે.

ખાલિદા ઝિયાનું આજે સવારે ૮૦ વર્ષની વયે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું. ફેફસાના ચેપને કારણે ઝિયાને ૨૩ નવેમ્બરના રોજ રાજધાની ઢાકાની એવરકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન લાંબા સમયથી હૃદય રોગ, ડાયાબિટીસ, સંધિવા, લીવર સિરોસિસ અને કિડનીની સમસ્યાઓ સહિત અનેક શારીરિક બિમારીઓથી પીડાતા હતા, અને આ મહિનાની શરૂઆતમાં તેમની બિમારીઓની અદ્યતન તબીબી સારવાર માટે તેમને લંડન લઈ જવામાં આવ્યા હતા. આજે સવારે હોસ્પિટલની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી, જ્યારે બેગમ ઝિયાના પુત્ર અને બીએનપીના કાર્યકારી અયક્ષ તારિક રહેમાન તેમની સ્વર્ગસ્થ માતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

ફેસબુક પર બીએનપીના નિવેદન મુજબ, ઝિયાનું ફજરની નમાઝ પછી સવારે લગભગ ૬ વાગ્યે (સ્થાનિક સમય) અવસાન થયું. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને દરેકને તેમના દિવંગત આત્મા માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ, બીએનપીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.