અમદાવાદ એરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી,માત્ર ૨૦૦ મીટરના અંતરે મુસાફરોને દેખાયું મોત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એર ટ્રાફિક કંટ્રોલની સમયસૂચકતાના કારણે એક બહુ મોટી વિમાન દુર્ઘટના થતાં-થતાં અટકી ગઈ છે. એરપોર્ટના રન-વે નજીક એર ઇન્ડિયા અને ઈન્ડીઇગોના બે પેસેન્જર વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી ગયા હતા. જાકે, બંને વિમાનોને સમયસર રોકી લેવામાં આવતા સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે ઘટી જ્યારે બંને વિમાનો રન-વે તરફ આગળ વધી રહ્યા હતા. ટેક્સીવે પર ગતિશીલ એર ઇન્ડિયા અને ઈન્ડીગોના વિમાનો એકબીજાની બિલકુલ નજીક આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચે અંદાજે માત્ર ૨૦૦ મીટરનું જ અંતર બાકી રહ્યું હતું. આ કપરી પરિસ્થિતિમાં એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓની નજર પડતાં જ તેમણે તાત્કાલિક બંને પાયલોટોને એલર્ટ કર્યા હતા અને વિમાનોને ત્યાં જ રોકી દેવાની સૂચના આપી હતી.એટીસીની આ સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી.

પ્રાથમિક તપાસ અને એરલાઇન્સના નિવેદન અનુસાર, આ ગંભીર ભૂલ એર ઇન્ડિયાના વિમાન દ્વારા થઈ હતી. એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, ટેક્સીંગ (રન-વે પર વિમાનની મુવમેન્ટ) દરમિયાન પાયલોટે ભૂલથી ખોટી દિશામાં વળાંક લઈ લીધો હતો, જેના કારણે વિમાન ઈન્ડીગોના વિમાન સામે આવી પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. કોઈ જાનહાનિ કે પ્લેનને કોઈ આર્થિક નુકસાન થયું નથી. વિમાનોને સમયસર રોકી લેવાતા મોટી આફત ટળી છે.

એરપોર્ટ પર બનેલી આ ગંભીર ઘટનાને નાગરિક ઉડ્ડયન વિભાગે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આટલી મોટી ચૂક કેવી રીતે થઈ અને પાયલોટે સિગ્નલ સમજવામાં ક્યા ભૂલ કરી, તે દિશામાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.ડીજીસીએ દ્વારા પણ આ મામલે વિગતવાર અહેવાલ મંગાવવામાં આવી શકે છે જેથી ભવિષ્યમાં આવી સુરક્ષા ખામીઓ ફરી ન સર્જાય.