
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે પ્રશ્ર્નકાળ દરમિયાન લોક્સભામાં જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માતો થાય છે, જેના પરિણામે ૧૮૦ હજાર લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુમાંથી ૬૭ ટકા ૧૮ થી ૩૪ વર્ષની વયના હોય છે. તાજેતરના એઆઇએમએસ રિપોર્ટમાં જણાવાયું છે કે જો અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર સારવાર મળે તો ૫૦ હજાર લોકોના જીવ બચાવી શકાય છે.
નીતિન ગડકરીએ કહ્યું કે જ્યારે કોઈને અકસ્માત થાય છે, ત્યારે લોકો મદદ કરવામાં અચકાય છે. તેમને ડર છે કે જો તેઓ ઘાયલોને મદદ કરશે, તો તેઓ પોલીસ સાથે મુશ્કેલીમાં મુકાઈ જશે. પરંતુ હવે લોકોને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવા લોકોને મુશ્કેલીનો સામનો કરવાને બદલે પુરસ્કાર આપવામાં આવશે. અમે ઘાયલોને મદદ કરનારાઓને ‘રાહવીર’ તરીકે લેબલ કર્યા છે. હવે, જો કોઈ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જશે, તો તેમને સરકાર તરફથી ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ મળશે. તેથી, લોકોને હવે કોઈને મદદ કરતા પહેલા બે વાર વિચારવાની જરૂર રહેશે નહીં.
ગડકરીએ કહ્યું કે સરકાર ઘાયલોને દાખલ કરવામાં આવેલી હોસ્પિટલનો કેટલોક ખર્ચ પણ ઉઠાવશે. સરકાર ૭ દિવસની સારવાર અને ૧.૫ લાખ રૂપિયાનો તબીબી ખર્ચ આપશે. આ પૈસા સીધા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, હોસ્પિટલોને હવે ઘાયલોની સારવાર કરતા ખચકાટ નહીં કરવો પડે. અમે અકસ્માતોમાં શક્ય તેટલા વધુ લોકોના જીવ બચાવવા માંગીએ છીએ.