
અમદાવાદમાં એસઆઇઆર કામગીરી પછી ૯ લાખ મતદારો અનમેપ્ડ મળી આવ્યા છે. આ અનમેપ્ડ મતદારોને નોટિસ મોકલીને પુરાવા રજૂ કરવા કહેવાશે અને ૭૫૦ અધિકારીઓ ૯ લાખથી વધુ લોકોના વાંધા અંગે સુનાવણી કરશે.
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની પ્રથમ તબક્કાની પ્રક્રિયા પુરી થયા પછી ચૂંટણી પંચ દ્વારા ગયા અઠવાડિયે ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી. ત્યારે અમદાવાદમાં એસઆઇઆરની પ્રથમ તબક્કાની કામગીરી પછી ૯ લાખ મતદારો અનમેપ્ડ મળી આવ્યા છે. ત્યારે હવેના તબક્કામાં અનમેપ્ડ મતદારોને નોટિસ મોકલવામાં આવશે.
અનમેપ્ડ મતદારોને નોટિસ નોકલવાની કામગીરી શુક્રવારથી શરૂ કરવામાં આવશે અને તેમને નોટિસ મોકલીને પુરાવા રજૂ કરવા કહેવામાં આવશે. સાથે જ મતદારોને નોટિસ મોકલીને કયા પુરાવા સાથે હાજર રહેવાનું છે એ પણ જણાવવામાં આવશે. આ માટે અમદાવાદ શહેરમાં ડેપ્યુટી કલેકટર અને મામલતદાર કક્ષાના કુલ ૭૫૦ અધિકારીઓ ૯.૧૫ લાખ લોકોના વાંધા અંગે સુનાવણી કરશે. ૭૫૦ અધિકારીઓ અનમેપ્ડ મતદારોની વાંધાઓની અરજીઓ-અપીલોની સુનાવણી માટેની કામગીરીમાં જોડાશે.
માહિતી પ્રમાણે, એક અધિકારી એક દિવસમાં લગભગ ૫૦થી વધારે દાવાઓ પર સુનાવણી કરશે, અને પછી એ નક્કી કરશે કે તેમનું નામ મતદાર યાદીમાં સમાવવું કે નહીં. અનમેપ્ડ મતદારોએ પોતાના દાવા અને આપત્તિ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં રજૂ કરવાની રહેશે. આ પછી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં આ તમામ અરજી પર કાર્યવાહી કરવામાં આવશે.
જે મતદારોને નોટિસ મળશે, તેમણે નોટિસમાં આપવામાં આવેલા સરનામે જઈને પુરાવા રજૂ કરવાના રહેશે. જણાવી દઈએ કે મતદારોને નોટિસ પોસ્ટ દ્વારા મળશે. જો આ મતદારોમાંથી કોઈના પણ દાવાઓ કે વાંધાઓની અરજી નામંજૂર થાય છે તો તેઓ જિલ્લા ચૂંટણી અધિકારીને અપીલ કરી શકે છે. જણાવી દઈએ કે અનમેપ્ડ મતદારો એટલે કે એવા મતદારોને નોટિસ મોકલવામાં આવશે કે તેઓનું નામ હાલની મતદાર યાદીમાં તો છે, પરંતુ ૨૦૦૨ની મતદાર યાદીમાં તેમનું પોતાનું કે તેમના સંબંધીનું નામ નહીં હોય.