
છોટાઉદેપુર જીલ્લાના કવાંટ નગરમાં દબાણ હટાવવાની ઝુંબેશ બાદ હવે તંત્ર દ્વારા સીટી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલી રહી છે.
ડિમોલિશનની કાર્યવાહીમાં કોઈ વિવાદ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સીટી સર્વે વિભાગ દ્વારા મૂળ નકશા મુજબ માપણી કરવામાં આવી રહી છે. સર્વે ટીમ સ્થળ પર જઈને નકશા મુજબ જ્યાં દબાણ જણાય છે ત્યાં લાલ નિશાન લગાવી રહી છે.
સીટી સર્વેના રેકોર્ડ મુજબ, જે બાંધકામો નકશા બહાર છે, જેમ કે ઓટલા, દુકાનોના શેડ અને અન્ય પાકા દબાણવાળા બાંધકામો, તે તમામને ચિહ્નિત કરવામાં આવી રહ્યા છે. તંત્રનો સ્પષ્ટ સંકેત છે કે લાલ નિશાન લાગેલા આ તમામ દબાણો આગામી દિવસોમાં દૂર કરવામાં આવશે.
આ કામગીરી દરમિયાન સીટી સર્વેના અધિકારીઓ, મહેસૂલ વિભાગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.