પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા અનંત અંબાણી, રૂ.૫ કરોડનું શિવાર્પણ કર્યું

દેવાધિદેવ પ્રથમ જ્યોતિલગ શ્રી સોમનાથ મહાદેવના પાવન ધામે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને જાણીતા ઉદ્યોગપતિ અનંત અંબાણી ભાવપૂર્વક સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. ઉપરાંત તેમણે સોમનાથ દાદાના ચરણોમાં શિવાર્પણ કર્યું હતું.

વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે અનંત અંબાણીએ શાોક્ત વિધિ મુજબ મહાપૂજા તથા જલાભિષેક કરી આશુતોષ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવ્યું હતું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રની ઉન્નતિ, લોકકલ્યાણ અને સર્વજન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સોમનથા દાદાના સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આયાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આ દરમિયાન અનંત અંબાણીની સાથે બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહરિયા પણ સોમનાથ દાદાના દર્શન કરતા જોવા મળ્યો હતો.

મુખ્ય મંદિરના દર્શન બાદ અનંત અંબાણી સમુદ્ર કિનારે પહોંચ્યા હતા જ્યાં તેમણે સૂર્યનારાયણના દર્શન કરી પ્રકૃતિની દિવ્ય શાંતિનો અનુભવ કર્યો. ત્યારબાદ તેમણે કપર્દી વિનાયક ગણેશજીના મંદિરે જઈ વિધ્નહર્તા ગણેશજીના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટ દ્વારા તેમને સ્મૃતિચિહ્નરૂપે શ્રી સોમનાથ મહાદેવનું ચિત્ર તથા પવિત્ર પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો અનંત અંબાણીએ પણ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં ૫ કરોડનું શિવાર્પણ કર્યું હતું. આ દાનનો ઉપયોગ સોમનાથ તીર્થ ખાતે યાત્રાળુઓ માટેની આધુનિક સુવિધાઓ, વિકાસલક્ષી પ્રકલ્પો તથા તીર્થના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવશે. આ શિવાર્પણ સોમનાથ તીર્થના સતત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનરૂપ સાબિત થશે.