
ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ વખતે ધરપકડ કરાયેલ વ્યક્તિ કોઈ સામાન્ય નાગરિક નથી પરંતુ નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા છે.
ચોક્કસ માહિતીના આધારે નર્મદા એલસીબીએ રાત્રે દરોડો પાડ્યો હતો.ભદ્રેશ વસાવા પોતાના ઘરે ગેરકાયદેસર વિદેશી દારૂની ૧૧ બોટલ વેચવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એલસીબી ટીમે તેને પકડી લીધો હતો.આ જપ્ત કરાયેલા માલમાં કુલ ૨૫,૦૦૦ નો દારૂ હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભદ્રેશ વસાવા અગાઉ બે વાર દારૂની હેરાફેરી કરવા બદલ પકડાઈ ચૂક્યો છે. તેની ૨૦૨૧ અને ૨૦૨૩ માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ છતા તે સુધર્યો નથી.
આ ઘટનાએ નર્મદા જિલ્લાના રાજકીય પરિદૃશ્યને ગરમાવો આપ્યો છે.સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ આ મામલે આપ પર પ્રહારો કર્યા છે. ભાજપના જિલ્લા ઉપપ્રમુખે કહ્યું, “જો ‘પ્રામાણિક’ હોવાનો દાવો કરતી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂ વેચતા પકડાય તો લોકો શું વિચારશે?”આ દરમિયાન, આપના નિરંજન વસાવાએ આ બાબતમાં સ્પષ્ટતા કરતા કહ્યું, “માત્ર એટલા માટે કે તે મારો ભાઈ છે, શું તેને છોડી દેવો જોઈએ? કાયદો બધા માટે સમાન છે. જો કોઈ ગુનો થયો હોય, તો સજા મળવી જોઈએ. પાર્ટી આ કેસમાં પોલીસ કાર્યવાહીનું સ્વાગત કરે છે.”
આ મામલે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવાના ઘણા સાથીઓ દારૂના વેપારમાં સંડોવાયેલા છે. પાંચ પેટી દારૂ હતો જેને સંતાડી દેવામાં આવ્યો હતો. એક તરફ તેઓ પોલીસના નામે માછલાઓ ધોઈ રહ્યા છે જ્યારે બીજી તરફ તેઓ ધંધો કરી રહ્યા છે. આપ પાસે દેખાડો કરવાની અલગ અલગ રીતો છે. તેમના લોકો આપના કાર્યક્રમોમાં દારૂ પીને નાચવા આવે છે.