લુણાવાડા-ગોધરા રોડ પર આવેલ રહેણાંક બાંધકામને ગેરકાયદેસર ઠેરવી તાત્કાલિક દુર કરવા કલેકટરની નોટિસ

લુણાવાડાના ગોધરા રોડ ઉપર આવેલા રહેણાંક બાંધકામને સ્વેૈચ્છાએ દુર કરવા જિલ્લા કલેકટરે નોટિસ ફટકારી છે. તેમજ જો તેમ નહિ થાય તો સરકારી રાહે તેને દુર કરવાની ચિમકી અપાઈ છે.

લુણાવાડા-ગોધરા હાઈવે પાસે સર્વે નં.-498 પૈકી 10 અને નવો સર્વે નં.-1190 વાળી 1076 જમીન રાકેશ નટવરલાલ પંડ્યા દ્વારા રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ છે. જેનો કોઈ હેતુફેર કરાવેલ નથી. અને લે-આઉટ પ્લાન પણ ગોધરા દ્વમરા મંજુર કરાવેલ છે. તેમજ રોડના મઘ્યબિંદુથી 29.50 મીટરના અંતરે આવેલ છે. અને બિલ્ડિંગ બાંધતા પહેલા સોઈલ ટેસ્ટિંગ કે બાંધકામની પરવાનગી પણ મેળવેલ નથી. અને લે-આઉટ પ્લાનમાં કોમન પ્લોટ પણ નથી.જેના આધારે રેખા નિયંત્રણનો ભંગ કરતા નગર સંયોજકની હુકમની શરતોનુ ભંગ હોય આ અનઅધિકૃત બાંધકામને તાત્કાલિક દુર કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા નોટિસ આપવામાં આવી છે. તેમજ તેની પાસે આવેલ સર્વે નં.-430ની સરકારી જગ્યામાં પણ ગેરકાયદે કોમર્શિયલ દુકાનો બનાવી દેવાઈ હોઈ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતાં અરજદાર દ્વારા સવાલો ઉભા થઈ રહ્યા છે.