વિકાસ કે વહીવટી બેદરકારી? ભાવનગર-ગીર સોમનાથમાં કરોડોના કામો સામે વિરોધનો સૂર

ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં ગટરલાઈનના કામને લઈને વિવાદ ઊભો થયો છે. વર્ષ ૨૦૧૯માં ગટરલાઈન પાછળ ખર્ચાયેલા ૪૭ કરોડ રૂપિયાના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા આ મામલે તંત્ર અને સત્તાધારી બોડી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ગટરલાઈનના કામમાં ગેરરીતિની ફરિયાદ બાદ વિજિલન્સ તપાસ માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી મામલો આગળ ન વધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે તપાસની પ્રક્રિયાને જાણપૂર્વક અટકાવવામાં આવી રહી છે.ગુજરાત વરસાદ એલર્ટ માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલા સરકારી દસ્તાવેજા ઉપલબ્ધ ન કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપક્ષ નેતાએ રેકોર્ડ ગાયબ હોવાની બાબતને ગંભીર ગણાવી તેને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સરખાવી છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ઉના-ભાવનગર હાઇવેની કામગીરીને લઈને પણ વિરોધ જોવા મળ્યો છે. સામતેર ટીબી વિસ્તારમાં રોડ પર ભંગાણ પડતા સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકરોએ નબળી કામગીરીના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પૂર્વ ધારાસભ્ય પુંજા વંશની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકરોએ રાવલ નદીના પુલ પર સૂત્રોચાર કર્યા હતા. વિરોધ દરમિયાન બંને તરફનો વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો, જેના કારણે હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

હાઇવેમાં ભંગાણ અને નગરપાલિકાના ગટર પ્રોજેક્ટને લઈને ઉઠેલા સવાલો બાદ વિકાસ કામોની ગુણવત્તા અને દેખરેખની કામગીરી ચર્ચામાં આવી છે. સ્થાનિકો અને વિપક્ષ દ્વારા સમગ્ર મામલે પારદર્શક તપાસ અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.