સુલતાન અઝલાન શાહ કપ માટે ભારતીય હોકી ટીમની જાહેરાત:ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો, સંજય ટીમનું નેતૃત્વ કરશે

હોકી ઇન્ડિયાએ 31મા સુલતાન અઝલાન શાહ કપ માટે ભારતીય મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે. શનિવારે જાહેર કરાયેલી જાહેરાત મુજબ, ડિફેન્ડર સંજયને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

23 થી 30 નવેમ્બર દરમિયાન મલેશિયાના ઇપોહમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે નિયમિત કેપ્ટન હરમનપ્રીત સિંહ સહિત ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે.

ટીમ ઈન્ડિયા 23 નવેમ્બરે દક્ષિણ કોરિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની બધી મેચ સુલતાન અઝલાન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં ટોચની બે ટીમ 30 નવેમ્બરે ફાઇનલમાં પહોંચશે.

કૃષ્ણ બહાદુર અને સૂરજને આરામ અપાયો પસંદગીકારોએ ભારતના પ્રથમ પસંદગીના બંને ગોલકીપર, કૃષ્ણ બહાદુર પાઠક અને સૂરજ કરકેરાને આરામ આપ્યો છે અને તેમની જગ્યાએ પવન અને મોહિત હોનેનહલ્લી શશીકુમારને ટીમમાં સામેલ કર્યા છે. નિયમિત કેપ્ટન હરમનપ્રીત સિંહ, અનુભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહ અને સ્ટ્રાઈકર મનદીપ સિંહ પણ આ ટુર્નામેન્ટમાં રમશે નહીં.