પ્રખ્યાત શૂટર જસપાલ રાણાનું અવસાન; લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

ભારતીય શૂટિંગ દિગ્ગજ અને પ્રખ્યાત કોચ જસપાલ રાણાનું શુક્રવારે ૪૯ વર્ષની વયે અવસાન થયું. આ અઠવાડિયાની શરૂઆતમાં તેમની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતના પિસ્તોલ શૂટર્સ માટે હાઇ-પર્ફોર્મન્સ કોચ તરીકે કામ કરતા રાણા, જર્મનીના મ્યુનિકમાં આઇએસએસએફ વર્લ્ડ કપમાંથી ભારત પરત ફરતી વખતે અસ્વસ્થતા અનુભવતા હતા. દિલ્હી પહોંચ્યા પછી, તેમને સાકેતની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. ૧૨ જૂનના રોજ, નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડીયાએ તેમના અવસાનની પુષ્ટિ કરી. તેમના અવસાનના સમાચારથી રમતગમત જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ભારતના સૌથી પ્રતિષ્ઠિત પિસ્તોલ શૂટર્સમાંના એક, જસપાલ રાણાએ ૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના માટે એક ખાસ સ્થાન સ્થાપિત કર્યું. તેમણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પીયનશિપમાં અસંખ્ય મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું. જ્યારે ભારતમાં શૂટિંગ એટલું લોકપ્રિય નહોતું, ત્યારે રાણાએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી શૂટિંગની દુનિયામાં પોતાને અલગ પાડ્યા. તેમની યાત્રા અને નોંધપાત્ર સિદ્ધિઓએ દેશની યુવા પેઢીને રમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી.

રમતમાંથી નિવૃત્તિ લીધા પછી, રાણા કોચિંગની દુનિયામાં પ્રવેશ્યા અને ઝડપથી ભારતીય શૂટિંગમાં સૌથી પ્રભાવશાળી કોચમાંના એક બન્યા. ૨૦૧૨ માં, તેઓ રાષ્ટ્રીય કોચિંગ સિસ્ટમનો ભાગ બન્યા અને જુનિયર પિસ્તોલ પ્રોગ્રામનો હવાલો સંભાળ્યો. આગામી દાયકા સુધી, તેમણે પાયાના સ્તરે યુવા પ્રતિભાઓને ઉછેર્યા. તેમના માર્ગદર્શન હેઠળ, સૌરભ ચૌધરી, અનિશ ભાનવાલા અને ચિંકી યાદવ જેવા ઉત્કૃષ્ટ શૂટર્સ ઉભરી આવ્યા, જેમણે પાછળથી વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું. તેમની કોચિંગ કારકિર્દીનો સૌથી ઐતિહાસિક પ્રકરણ સ્ટાર શૂટર મનુ ભાકર સાથે હતો. રાણાએ મનુને તેની કારકિર્દીના એક મહત્વપૂર્ણ તબક્કે ઉછેર્યો, જેના કારણે તેણીએ ૨૦૨૪ પેરિસ ઓલિમ્પીકમાં મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ અને મિશ્ર ટીમ ઇવેન્ટ્‌સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જસપાલ રાણાના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “જસપાલ રાણાજીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેમનું નિધન ભારતીય રમતગમત માટે એક મોટું નુકસાન છે. તેમણે શૂટિંગમાં પોતાની અસાધારણ સિદ્ધિઓથી દેશને સન્માન આપ્યું. માર્ગદર્શક તરીકે તેમનું યોગદાન પણ નોંધપાત્ર હતું. તેમણે ખંતપૂર્વક યુવા ખેલાડીઓનું પાલનપોષણ અને માર્ગદર્શન કર્યું. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન, શિસ્ત અને રમતની સેવા પ્રત્યેના અતૂટ સમર્પણને કારણે તેમને ખૂબ માન મળ્યું. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર રમતગમત સમુદાય પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”