કેન્દ્ર સરકારે ગુજરાતના ૧૭ અધિકારીઓને આઇએએસ કેડરમાં નિયુક્તીને મંજૂરી આપી, હવે પોસ્ટીંગ કરાશે

ગુજરાતના વહીવટી તંત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણયરૂપે કેન્દ્ર સરકારે રાજ્ય વહીવટી સેવાના ૧૭ અધિકારીઓને આઇએએસ કેડરમાં સામેલ કરવાની મંજૂરી આપી છે. વર્ષ ૨૦૨૫ની પસંદગી યાદી હેઠળ થયેલી આ નિમણૂકો બાદ તમામ અધિકારીઓને ટૂંક સમયમાં વિવિધ જગ્યાઓ પર પોસ્ટીંગ આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ નિમણૂંક પામેલા અધિકારીઓમાં આરએન કુછરા, આરપી પટેલ, સીબી ગણાત્રા, સીએ ગાંધી, બીએન પટેલ, એમકે જોશી, એકે જોશી, કેએસ ઝાલા, વીકે જાદવ, ડીકે પટેલ, બીએચ પટેલ, આઈઆર વાળા, એમડી ચૂડાસમા, બીએસ પ્રજાપતિ, વીજી પટેલ, એકે વસતાણી અને પીબી રાઠોડનો સમાવેશ થાય છે.

નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓના અંતિમ ચુકાદાઓને આધીન રહેશે. એટલે કે, સંબંધિત કેસોના પરિણામ બાદ જરૂરી હોય તો આગળની કાર્યવાહી થઇ શકે છે. નિમણૂંક મેળવેલા તમામ અધિકારીઓ હાલ પ્રોબેશન પર રહેશે. આ ઉપરાંત તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દસ્તાવેજા મોકલવા માટેની સૂચના આપવામાં આવેલી છે.ઉપરોક્ત નિમણૂંક પામેલા તમામ અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટીંગ આપવામાં આવશે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે.