જેતપર ખેડૂત આંદોલનનો ૮મો દિવસઃ ૫,૫૫૧ ખેડૂતોનું એક જ દિવસમાં રક્તદાન, ગુજરાતનો નવો રેકોર્ડ

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ૧૮ જૂનથી શરૂ થયેલું આમરણાંત ઉપવાસ આંદોલન આજે આઠમા દિવસે પહોંચ્યું છે. આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવાની અનોખી રીત અપનાવવામાં આવી છે. વિશાળ રક્તદાન કેમ્પમાં એક જ દિવસમાં કુલ ૫,૫૫૧ ખેડૂતોએ રક્તદાન કર્યું હતું. સવારે ૯ વાગ્યાથી મધરાત સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. આ સાથે ગુજરાતમાં એક જ સ્થળે એક જ દિવસમાં સૌથી વધુ રક્તદાન કરવાનો નવો રેકોર્ડ નોંધાયો છે.

અગાઉ રીબડા ખાતે એક જ દિવસમાં ૫,૪૧૯ રક્તદાતાઓનો રેકોર્ડ નોંધાયો હતો, જેને જેતપરના ખેડૂતો દ્વારા પાછળ છોડી દેવામાં આવ્યો છે. બ્લડ બેંકો પાસે જરૂરી કિટ અને સાધનસામગ્રીની અછત સર્જાતા ગુરુવારે પણ રક્તદાન કેમ્પ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, આંદોલનમાં કોઈ રાજકીય પક્ષ અથવા નેતાઓની સીધી ભાગીદારી નથી. ખેડૂતો પોતાની જમીન અને હિતના મુદ્દે સ્વયંભૂ રીતે આંદોલન ચલાવી રહ્યા છે.

સરકાર દ્વારા ખેડૂતોને ચર્ચા માટે બે-ત્રણ વખત આમંત્રણ આપવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. જાકે ખેડૂત આગેવાનોનું કહેવું છે કે મુખ્યમંત્રી તરફથી લેખિત આમંત્રણ અને માંગણીઓ અંગે સ્પષ્ટતા મળ્યા બાદ જ ગાંધીનગરમાં બેઠક માટે વિચાર કરવામાં આવશે.

ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી વીજ કંપની દ્વારા તેમના ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરીને કારણે ખેડૂતોના હિતોને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપવામાં આવી છે.

જેતપરમાં ચાલી રહેલું આંદોલન હવે માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ રક્તદાન જેવા સામાજિક સંદેશ સાથે રાજ્યભરમાં ધ્યાન ખેંચી રહ્યું છે.