
ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના અંતિમ દિવસે રજૂ થયેલા કેગના અહેવાલમાં ચોંકાવનારા આંકડા એ ભાજપ સરકારના દેવાળિયા વહીવટ, નાણાંકીય ગેરરીતિ સહિત અનેક નાણાંકીય કૌભાંડો સાથે અધધ… દેવાદાર રાજ્ય તરીકે ગુજરાતને દેવાળીયા વહીવટની ભેટ આપતા ભાજપ શાસકો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ હોવાનું કેગના રીપોર્ટમાં જાહેર થયું છે. ગત વર્ષ કરતા જાહેર દેવામાં ૨૨ હજાર કરોડનો જંગી વધારો થયો છે. રાજ્ય સરકારની બજાર લોન ૩.૧૧ લાખ કરોડ જે ગત વર્ષ કરતા ૧૬ હજાર કરોડનો વધારો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને વિવિધ યોજના માટે મળતા નાણાં માં ઘટાડો સ્પષ્ટ જણાય છે. આદિજાતિ પેટા વિભાગ માં કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ અને સહાયમાં ૨૦૨૩-૨૦૨૪ માં ૧,૫૯૦.૧૭ કરોડ સામે ૨૦૨૪-૨૦૨૫ માં ૧,૩૬૩ કરોડ જ રાજ્ય સરકારને મળ્યા એટલે કે ગત વર્ષની સરખામણીમાં ૨૨૬.૫૬ કરોડ ઓછા મળ્યા છે. કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ માં ૨૦૨૩-૨૦૨૪ માં ૭૫૪૦ કરોડ તેની સામે વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં ૬૭૧૨.૮૬ કરોડ મળ્યા. જે ડબલ એન્જીનની ભાજપ સરકારે ગુજરાતને કરેલો વધુ એક અન્યાય છે. શહેરી હવાની ગુણવત્તા બગડતા ૧૦ લાખ થી વધુ વસ્તી વાળા શહેરો માં પાત્રતા કરતા ઓછી રકમ ફળવાઈ જેનાથી શહેરી નાગરિકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં મહેસુલી ખર્ચામાં ૧૦,૩૨૬ કરોડનો વધારો જ્યારે મહેસુલી આવકમાં ૪,૨૦૮ કરોડનો ઘટાડો નોંધાયો છે. નાણાંકીય ગેરશીસ્ત, નિયમોના અનુપાલનના ઉલ્લંઘનને કારણે મહેસુલી પુરાંત માં ૪૩.૪૧ ટકા ઘટાડો થયો છે.
ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની ૧૧.૬૬ ટકા વસ્તી ગરીબી રેખાથી નીચે જીવન જીવે છે એટલે ગુજરાતમાં ૮૪ લાખ કરતા વધુ નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગુજરાતના ૩.૫૪ કરોડ નાગરિકોને મફત અન્ન યોજનાના લાભાર્થી છે એટલે કે ૫૪ ટકા નાગરિકો ગરીબની વ્યાખ્યામાં છે.
વિકાસના સતત દાવાઓ અને સરકારી મોટી મોટી જાહેરાતો વચ્ચે કેગના અહેવાલે રાજ્યના વિકાસની ગતિ નબળી પડયાનું નોંધ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યની વૃદ્ધી ની ગતિ નબળી પડી છે. રૂપિયા ૧૧૦૮ કરોડની રકમ બારોબાર આવક તરીકે દર્શાવી ક્યાંથી આવી ? કેવી રીતે ? તે નાણાંકીય ગેરશીસ્તનું ઉદાહરણ છે. ચોથા રાજ્ય નાણાં પંચની રચના માં વિલંબના કારણે ૨૦૨૪-૨૫ દરમિયાન પંચાયતી રાજની સંસ્થાઓ ને ઓછું અનુદાન મળ્યું હતું. જેનાથી ગુજરાતના ૧૮૦૦૦ ગામોના પાયાની સુવિધાથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકારે કર્યું છે. આપત્તિ વ્યવસ્થાપન માં કેન્દ્ર સરકારે રાજ્યને ઓછું અનુદાન આપ્યું છે. રાજ્ય સરકારે ૬૩ સરકાર હસ્તકના જાહેર ક્ષેત્રના ઉપક્રમો માં રૂપિયા ૧.૨૪ લાખ કરોડનું રોકાણ કર્યુ. ૬૩ જાહેર ક્ષેત્રના એકમો માં રોકાણ ની સામે માત્ર ૬ એકમોએ વળતર આપ્યું. ઉધાર લીધેલા ૬.૫૩ ટકા ના ભંડોળ સામે માત્ર ૧.૭૫ ટકા વળતર મળ્યું, રોકાણ માં વધારો છતાં વળતર સામાન્ય રહ્યું હતું, બે દાયકા બાદ પણ સરકારી ખર્ચનો હિસાબ રજૂ ન થયો, કેગ દ્વારા સરકારી વિભાગો દ્વારા હિસાબ રજૂ ન થતા ગંભીર ટીકા કરવામાં આવી છે.
વર્ષ ૨૦૦૧-૦૨ થી વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન અપાયેલી રૂપિયા ૭,૪૩૧ કરોડનો હિસાબ રજૂ નથી કર્યો, સરકારના ૧૮ વિભાગો દ્વારા મળેલા અનુદાનો સંદર્ભે ૪,૨૫૮ વપરાશ ના પ્રમાણપત્રો રજૂ ન કરી ને મોટા પાયે નાણાં ક્યા વપરાયા ? કેવી રીતે વપરાયા ? અથવા તો જે તે યોજનામાં હેતુફેર કરીને ગેરવલ્લે ગયા, ગેરરીતિ થઈ તે બાબતે સરકારી વિભાગોએ ભાગેડુ માનસિકતા બતાવી છે, જેનો કેગ અહેવાલે ખુલ્લો કર્યા છે.