
પંચમહાલ જીલ્લામાં રખડતા શ્ર્વાનનો ત્રાસ વધી રહ્યો છે. ગોધરા તાલુકાના દાનિયા ગામે રખડતા શ્ર્વાને ઘર આંગણે ઉભેલા સગા ભાઈ-બહેન પર હુમલો કર્યો હતો. બંનેને પગના ભાગે બચકા ભરતા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
દાનિયા ગામે રહેતા લીલાબેન દિનેશભાઈ રાઠવા અને તેમના ભાઈ રાજુ દિનેશભાઈ રાઠવા પોતાના ઘરના આંગણામાં ઉભા હતા. આ દરમિયાન અચાનક એક રખડતા શ્ર્વાને તેમના પર હિંસક હુમલો કર્યો હતો અને પગના ભાગે બચકા ભર્યા હતા.
ઈજાગ્રસ્ત ભાઈ-બહેનને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા શ્ર્વાનોનો આતંક વધ્યો છે. આ ઘટનાને પગલે લોકોમાં પોતાના ઘર આંગણે પણ સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.