સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ બારીયાની હથોડ ગામને ફતેપુરા તાલુકામાં સમાવવા આદેશ કરાયો

બારીયાની હથોડ ગામના નાગરિકોએ કૃષિમંત્રી,સાંસદ સભ્ય સહિત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાતાં નિર્ણય લેવાયો.

ગુજરાત સરકાર દ્વારા થોડા સમય અગાઉ નવીન તાલુકાઓની રચના કરવામાં આવી છે. જેમાં કેટલાક ગામડાઓને નવીન તાલુકાઓમાં સમાવેશ કરાતા સ્થાનિક નાગરિકોએ સરકારમાં રજૂઆત કરતા તેમની માંગણી ગ્રાહી રાખી આદેશ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકામાંથી વિભાજન થઇ સુખસર તાલુકામાં બારીયાની હાથોડ ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરાતા ફતેપુરા તાલુકામાં રાખવા આદેશ કરાતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં 96 ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. જ્યારે હાલ ફતેપુરા તાલુકા માંથી વિભાજન થઈ સુખસર તાલુકામાં 47 જેટલા ગામડાઓનો સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બારીયાની હાથોડ ગામને સુખસર તાલુકામાં સમાવવામાં આવ્યુ હતું. પરંતુ બારીયાની હાથોડ ગામને સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવે તે સ્થાનિક નાગરિકોને યોગ્ય નહીં જણાતા તેની રજૂઆત સ્થાનિકથી લઈ રાજ્ય સરકાર સમક્ષ કરાતા બારીયાની હથોડ ગામના નાગરિકોની માંગણીને માન્ય રાખી સરકાર દ્વારા બારીયાની હથોડ ગામને ફતેપુરા તાલુકામાં રાખવા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે. હવે સુખસર તાલુકામાં 46 ગામડાઓ ઓનો કારભાર રહેશે તેવી રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર વાગી હોવાનું જાણવા મળે છે.

આમ, ફતેપુરા તાલુકાનું વિભાજન થઈ નવીન સુખસર તાલુકાની રચના થતા તેમાં બારીયાની હાથોડ ગામને સુખસર તાલુકામાં સમાવવા આદેશ થતા સ્થાનિક નાગરિકોએ બારીયાની હાતોડ ગામને ફતેપુરા તાલુકામાં જ રાખવા માંગણી કરાતા સરકાર દ્વારા સ્થાનિકોની લાગણીને માન આપી માંગણી સંતોષાતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.