
આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસ સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયા બાદ એસીબીએ તેમની ધરપકડ કરી છે. એસીબીની તપાસ મુજબ કેતકી વ્યાસ પાસે તેમની જાણીતી આવક કરતાં ૬૭.૮૪ ગણી વધુ મિલકત મળી આવી છે. તપાસમાં જમીન, મકાન, ફ્લેટ, વાહનો સહિતની સંપત્તિ તેમજ અલગ-અલગ ૨૪ જેટલા બેંક ખાતામાં રકમ જમા હોવાની વિગતો સામે આવી છે.
એસીબીએ વર્ષ ૨૦૨૩થી કેતકી વ્યાસની મિલકત અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમની આવક અને સંપત્તિ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હોવાનો એસીબીનો દાવો છે.એસીબી મુજબ, કેતકી વ્યાસે તેમની જાણીતી આવકની સરખામણીમાં ૬૭.૮૪ ગણી વધુ સંપત્તિ વસાવી હતી. આ વધારાની સંપત્તિ અંગે તેઓ સંતોષકારક ખુલાસો કરી શક્યા ન હોવાનો તપાસ એજન્સીનો આરોપ છે.
તપાસમાં કેતકી વ્યાસના નામે અથવા તેમની સાથે સંકળાયેલી વિવિધ મિલકતોની વિગતો સામે આવી હોવાનું એસીબીએ જણાવ્યું છે. તેમાં જમીન, મકાન, ફ્લેટ અને વાહનો સહિતની સંપત્તિનો સમાવેશ થાય છે.એસીબીના જણાવ્યા મુજબ, તેમની જાણીતી આવકની સરખામણીમાં રૂ.૩ કરોડથી વધુની વધારાની સંપત્તિ સામે આવી છે.
તપાસ દરમિયાન કેતકી વ્યાસ સાથે જોડાયેલા અલગ-અલગ ૨૪ જેટલા બેંક એકાઉન્ટમાં રકમ જમા હોવાની વિગતો પણ સામે આવી છે. હવે આ ખાતાઓમાં થયેલા નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.અધિકારીઓ દ્વારા સંપત્તિ અને નાણાકીય વ્યવહારોના દસ્તાવેજાની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ કેસમાં કેતકી વ્યાસે ધરપકડથી બચવા આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, સેશન કોર્ટ અને હાઈકોર્ટ બંને તરફથી આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ત્યારબાદ એસીબીએ તેમની શોધખોળ તેજ કરી હતી.
એસીબીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી કેતકી વ્યાસનું લોકેશન ટ્રેસ કર્યું હતું. તપાસ દરમિયાન તેઓ અમદાવાદના શેલા વિસ્તારમાં તેમની બહેનના ઘરે રહેતા હોવાની માહિતી મળી હતી.ત્યારબાદ એસીબીની ટીમે શેલામાં આવેલી બહેનના ઘરે પહોંચીને કેતકી વ્યાસની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ હવે એસીબી દ્વારા કેતકી વ્યાસ સાથે જાડાયેલી મિલકતોની તપાસ આગળ વધારવામાં આવી રહી છે. બોડકદેવ ખાતે આવેલા ફ્લેટનું સર્ચ અને પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.આ કાર્યવાહી દરમિયાન મિલકત સંબંધિત દસ્તાવેજા, નાણાકીય રેકોર્ડ તથા અન્ય મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવી શકે છે.
કેતકી વ્યાસના પતિ પોરબંદર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. જોકે, હાલની એસીબી કાર્યવાહી કેતકી વ્યાસ સામે અપ્રમાણસર મિલકતના આરોપોને લઈને છે. કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે તપાસ બાદ સ્પષ્ટ થશે.હાલ એસીબી દ્વારા સંપત્તિ, બેંક ખાતાં અને નાણાકીય વ્યવહારોની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. કેતકી વ્યાસ સામેના આરોપો અંગે અંતિમ નિર્ણય કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.