
વર્ષ ૨૦૨૨માં દહેજ ખાતે ભારત રસાયણ લિમિટેડના જંતુનાશક પ્લાન્ટમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને આગની ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોને વળતર ચૂકવવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પીડિતો અથવા તેમના પરિવારજનોની ઓળખ કરવા માટે સુઓ મોટુ કાર્યવાહી નોંધવા જણાવ્યું છે. ૧૭ મે ૨૦૨૨ના રોજ દહેજના ભારત રસાયણના પેÂસ્ટસાઇડ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં રિએક્ટરની ખામીને કારણે વિસ્ફોટ થયાનો ઉલ્લેખ અહેવાલોમાં કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચને જાણ કરવામાં આવી હતી કે પીડિતો, તેમના પરિવારજનો અથવા કાયદેસરના વારસદારોને ચૂકવવાની આશરે રૂ.૩.૨૭ કરોડની રકમ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા છે. જાકે, સંબંધિત સત્તાવાળાઓ પીડિતો અથવા તેમના પરિવારજનોની ઓળખ પૂર્ણ કરી શક્્યા ન હોવાથી આ રકમનું વિતરણ થઈ શક્્યું નહોતું. આ મુદ્દાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સુઓ મોટુ કાર્યવાહી નોંધાશે. તેનો મુખ્ય હેતુ અકસ્માતમાં અસરગ્રસ્ત પીડિતો તથા મૃતકોના પરિવારજનો અથવા કાયદેસરના વારસદારોની ઓળખ કરીને તેમને મળવાપાત્ર વળતર સુધી પહોંચાડવાનો છે. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી રજિસ્ટ્રીમાં રહેલી રૂ.૩.૨૭ કરોડની રકમને વધુ એક વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવા પણ જણાવ્યું છે. હાઈકોર્ટ દ્વારા લાભાર્થીઓની ઓળખ થયા બાદ પાત્ર લોકોને રકમ ચૂકવવામાં આવશે.
આ અકસ્માત બાદ મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ પણ પહોંચ્યો હતો.એનજીટીએ ૨૯ મે ૨૦૨૪ના રોજ પ્રદુષિત વળતર સિદ્ધાંત હેઠળ ભારત રસાયણ લિમિટેડ પર આશરે રૂ.૧૩.૫ કરોડનું પર્યાવરણીય વળતર લાદ્યું હતું.એનજીટીએ આ રકમનો ઉપયોગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાન્ટની આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં પર્યાવરણના પુનઃસ્થાપન અને સુધારણા માટે કરવાનો નિર્દેશ આપ્યો હતો. અહીં નોંધવું જરૂરી છે કે રૂ.૧૩.૫ કરોડનું પર્યાવરણીય વળતર અને રૂ.૩.૨૭ કરોડની પીડિતોને ચૂકવવાની રકમ અલગ છે. રૂ.૩.૨૭ કરોડ ખાસ કરીને અકસ્માતના પીડિતો, તેમના પરિવારજનો અથવા કાયદેસરના વારસદારોને ચૂકવવા માટેની રકમ છે.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે પીડિતોની ઓળખ અને વળતરની ચુકવણી માટે ગુજરાત હાઈકોર્ટને કાર્યવાહી કરવા જણાવ્યું છે.દહેજની ૨૦૨૨ની ઔદ્યોગિક દુર્ઘટનાને ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. વળતરની રકમ ઉપલબ્ધ હોવા છતાં લાભાર્થીઓની ઓળખની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે તેનું વિતરણ અટક્યું હતું. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશ બાદ હવે ગુજરાત હાઈકોર્ટ મારફતે પીડિતો અને તેમના કાયદેસરના વારસદારોની ઓળખ કરવાની પ્રક્રિયા આગળ વધશે. ત્યારબાદ પાત્ર લાભાર્થીઓને રજિસ્ટ્રીમાં જમા રહેલી વળતરની રકમ ચૂકવવાનો માર્ગ મોકળો થશે.