ધારાસભ્ય પર દારૂના ધંધાને લઈ આક્ષેપ કરનારા ગુજસીટોકના આરોપીનું જેલમાં મોત

જૂનાગઢ જેલમાં ગંભીર ગુનામાં બંધ અને દારૂના ગેરકાયદેસર ધંધાને લઈ ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડ પર આક્ષેપ કરનારા કુખ્યાત બુટલેગર ભગા ઉકા જાદવનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. મધરાતે અચાનક તેની તબિયત લથડતાં જેલ તંત્ર દ્વારા તેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આરોપીના મોતને પગલે જેલ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

મૃતક ભગા ઉકા જાદવ ઉના તાલુકાનો રહેવાસી હતો અને તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા હતા. પોલીસ દ્વારા તેની સામે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી અને તે ગત ૧૦ જુલાઈ ૨૦૨૫થી જૂનાગઢ જેલમાં સજા કાપી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભગા જાદવ થોડા સમય અગાઉ જ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેલમાંથી તેણે લખેલા એક વિવાદાસ્પદ પત્રમાં ઉનાના ધારાસભ્ય કાળુ ચનાભાઈ રાઠોડ (કે.સી. રાઠોડ) પર દારૂના ગેરકાયદેસર ધંધામાં ભાગીદારીના ગંભીર આક્ષેપો કર્યા હતા. પત્રમાં તેણે દાવો કર્યો હતો કે ધારાસભ્યના કહેવાથી અને તેમના વિશ્ર્વાસ પર તેણે દમણથી દારૂ મંગાવી મોટો કારોબાર કર્યો હતો.

આ પત્રમાં તેણે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગીર ગઢડાના બેડીયા ગામે થયેલી રેડનો પણ ઉલ્લેખ કર્યો હતો. પત્ર મુજબ, આ દારૂના કારોબારમાં ધારાસભ્ય સહિત અન્ય લોકો પણ સંડોવાયેલા હતા અને અંદાજે ૨૯ લાખ રૂપિયાનો હિસાબ બાકી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેણે જામીન પર છૂટ્યા બાદ તમામ ભાગીદારો સાથે મળીને હિસાબ ચૂકવવાની બાંયધરી પણ આપી હતી.

કસ્ટડીમાં કેદીના મોતને પગલે હવે નિયમ મુજબ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેલ તંત્ર દ્વારા પ્રાથમિક રીતે હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.