ઝાલોદના રામસાગર તળાવમાં નવયુવાનનો મૃતદેહ મળતાં ચકચાર

૦૨ સપ્ટેમ્બરથી ગુમ યુવાનનો મૃતદેહ હોવાની આશંકા; પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા.

ઝાલોદના રામસાગર તળાવ ખાતે બુધવારે એક નવયુવાનનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો રામસાગર તળાવ ખાતે ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, માછીમારો માછલી પકડવા માટે તળાવમાં ગયા હતા ત્યારે તળાવની વચ્ચે આવેલા ડુંગર નજીક ઝાડી-ઝાંખરા વચ્ચે મૃતદેહ જોવા મળ્યો હતો. માછીમારોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં ઝાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ ઝાલોદ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

સ્થાનિકોની મદદથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતદેહ રાજુભાઈ વિરકાભાઈ ડોડીયાર, રહે. દાઢીયા, ઉંમર આશરે ૩૫ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. રાજુભાઈ તા. ૦૨-૦૯-૨૦૨૬ના રોજ ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા. પરિવારજનો દ્વારા આ અંગે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

મૃતદેહને વધુ તપાસ માટે એમ્બ્યુલન્સ મારફતે ઝાલોદ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ઝાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.