
રશિયાની મુખ્ય તેલ કંપનીઓ, રોઝનેટ અને લુકોઇલ પર નવા યુએસ પ્રતિબંધો બાદ ભારતના રશિયન ક્રૂડ ઓઇલ પુરવઠાને અસર થવાની ધારણા છે, જે ૨૧ નવેમ્બરથી અમલમાં આવી છે. નિષ્ણાતો કહે છે કે આગામી બે મહિનામાં રશિયન તેલની આયાતમાં તીવ્ર ઘટાડો થશે, જોકે આયાત સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા નથી.
ભારત આ વર્ષે સરેરાશ ૧.૭ મિલિયન બેરલ પ્રતિ દિવસ રશિયન ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યું હતું. નવેમ્બરમાં આ વોલ્યુમ વધીને ૧.૮-૧.૯ મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાની ધારણા છે, કારણ કે પ્રતિબંધો પહેલા રિફાઇનરીઓ ડિસ્કાઉન્ટેડ કાર્ગો ખરીદી રહી હતી. જોકે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આયાત ઘટીને લગભગ ૪૦૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ થવાની ધારણા છે. યુક્રેન યુદ્ધ પછી, પશ્ર્ચિમી પ્રતિબંધો અને ઘટતી યુરોપિયન માંગને કારણે રશિયાએ ભારતને ભારે ડિસ્કાઉન્ટ પર તેલ વેચ્યું. પરિણામે, ભારતની રશિયન તેલની આયાત કુલ ક્રૂડ ઓઇલ આયાતના ૧% થી વધીને લગભગ ૪૦% થઈ ગઈ, અને રશિયા નવેમ્બરમાં ભારતનો સૌથી મોટો સપ્લાયર રહ્યો.
નવા પ્રતિબંધો પછી, ઘણી ભારતીય રિફાઇનરીઓએ રશિયન તેલ ખરીદવાનું કામચલાઉ બંધ કરી દીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,એચપીસીએલ-મિત્તલ એનર્જી અને મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સે આયાત સ્થગિત કરી દીધી છે. રોઝનેટ-સમથત નાયરા એનર્જી એકમાત્ર કંપની છે જેને અસર થઈ નથી, કારણ કે તેની વૈદિનાર રિફાઇનરી પહેલાથી જ પ્રતિબંધિત એન્ટિટી તરીકે સૂચિબદ્ધ છે અને મુખ્યત્વે રશિયન ક્રૂડ પર આધાર રાખે છે.
વિશ્લેષક સુમિત રિટોલિયા કહે છે કે નાયરા સિવાયના રિફાઇનર્સ ઓએફએસી-લિસ્ટેડ કંપનીઓ પાસેથી ખરીદીનું જોખમ લેશે નહીં. નવા કરારો, સપ્લાય રૂટ્સ, માલિકી માળખાં અને ચુકવણી ચેનલો પર વાટાઘાટો કરવામાં સમય લાગશે.