
કાલોલ તાલુકાના સાતમણા-નારણપુરા પાસે આવેલા સનાતન નર્મદા ઘાટ ખાતેથી આજે પવિત્ર નર્મદા મૈયાના નીર ભરીને સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ૨૦૦૦થી પણ વધુ કાવડિયાઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમંગભેર જોડાયા હતા. સનાતન ધર્મના પ્રતીકો, તુલસીના છોડ અને ગાયના જોડા સાથે નિકળેલી આ કાવડ યાત્રા સાતમણા સનાતન નર્મદા ઘાટથી પ્રસ્થાન થઈને ડેરોલ સ્ટેશન તથા કાલોલ શહેરના મુખ્ય હાઈવે પરથી શિસ્તબદ્ધ રીતે પસાર થઈ હતી. યાત્રા દરમિયાન “હર હર મહાદેવ, “બમ બમ ભોલે અને “ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સેવાદાસજી મહારાજ સહિતના પૂજનીય સંતોની વિશેષ હાજરી અને કાવડિયાઓની શિસ્તબદ્ધ પદયાત્રા માર્ગ પરથી પસાર થતાં લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ભવ્ય કાવડ યાત્રા મધવાસ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે, જ્યાં કાવડિયાઓ દ્વારા નર્મદાજીના પવિત્ર જળથી મહાદેવજીનો ભક્તિભાવપૂર્વક જળાભિષેક કરવામાં આવશે.