
ગોધરા તાલુકાના કાકણપુર ખાતે જે.એલ.કે. કોટેચા આર્ટ્સ અને એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજમાં નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં યુવાનોએ નશામુક્તિના શપથ લીધા હતા.
આ કાર્યક્રમ માય ભારત ગોધરા દ્વારા સફળતાપૂર્વક યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશામુક્ત જીવનનું મહત્વ સમજાવવાનો અને તેમને સ્વસ્થ, સશક્ત તથા વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા પ્રેરવાનો હતો.
કાર્યક્રમની શઆત કોલેજના આચાર્ય જગદીશ પટેલના શુભેચ્છા સંબોધનથી થઈ હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ સાથે યુવાનોને નશાથી દૂર રહીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિવિધ વિષયો આધારિત કુલ આઠ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય ભાગપે, ઉપસ્થિત તમામ યુવાનોને નશામુક્તિની શપથ લેવડાવવામાં આવી હતી. તેમને સમાજમાં નશા વિરોધી જનજાગૃતિ ફેલાવવા અને આ માટે સંકલ્પબદ્ધ બનવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકગણ, માય ભારતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માય ભારત ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજીક જવાબદારી અને નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સતત યોજવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જીલ્લા યુવા અધિકારી કુમારી સ્નેહા પ્રજાપતના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.