જામનગર કોર્ટે ગોસાબારા આરડીએકસ કેસમાં ૧૨ને ઠેરવ્યા કસૂરવાર

વર્ષો જૂના અને સમગ્ર દેશને હચમચાવી દેનારા પોરબંદરના ગોસાબારા આરડીએકસ લેન્ડીંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ૧૯૯૩ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનું જે કાવતરું પાકિસ્તાનમાં ઘડાયું હતું, તેના વિસ્ફોટકો જે દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તે કેસમાં કોર્ટે ૧૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ચુકાદો આતંકવાદ વિરુદ્ધ ભારતની કાયદાકીય લડાઈમાં એક મોટી જીત સમાન છે.

જાન્યુઆરી ૧૯૯૩માં મુંબઈ વિસ્ફોટોના થોડા સમય પહેલા પાકિસ્તાનના કરાચીથી દરિયાઈ માર્ગે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ગુજરાત મોકલવામાં આવ્યો હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના ઈશારે પોરબંદરના ગોસાબારા દરિયાકિનારે આ ઘાતક સામાન ઉતારવામાં આવ્યો હતો. જેમાં આરડીએકસ એકે-૪૭ રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ્‌સનો સમાવેશ થતો હતો. આ જ વિસ્ફોટકોનો ઉપયોગ બાદમાં મુંબઈને લોહીલુહાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.

લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આજે ન્યાય મળ્યો છે. કેસની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છેઃ કુલ આરોપીઓઃ ૪૬,કેસ દરમિયાન મૃત્યુ પામેલા આરોપીઓઃ ૧૧,ડિસ્ચાર્જ થયેલા આરોપીઓઃ ૦૬, સુનાવણીનો સામનો કરનાર આરોપીઓઃ ૨૯,કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓઃ ૧૨

કોર્ટે જે ૧૨ આરોપીઓને આ ગુનામાં સામેલ ગણ્યા છે તેમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે.

તપાસમાં ખુલાસો થયો હતો કે આ વિસ્ફોટક સામગ્રી દાઉદ ઈબ્રાહિમ અને મુસ્તફા ડોસા દ્વારા પાકિસ્તાની બોટમાં મોકલવામાં આવી હતી. મધદરિયે સ્થાનિક ફિશિંગ બોટોમાં આ સામાન ટ્રાન્સફર કરી રાત્રિના અંધકારમાં ગુજરાતના કિનારે ઉતારાયો હતો. આ ચુકાદાથી સાબિત થયું છે કે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ તત્વો ગમે તેટલા વર્ષો સુધી બચે, પણ કાયદાના હાથથી છૂટી શકતા નથી.