
ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભલે હોદ્દા પર ન હોય પણ તેમણે રાજકારણ છોડ્યું નથી તે વાત વારંવાર પુરવાર કરી છે. આ વાત હવે તેમણે વધુ એક વખત પુરવાર કરતાં હોય તેમ સનસનીખેજ નિવેદન કરતાં જણાવ્યું છે કે ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે. દેશમાં ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે. હિંદુઓ સતત ધર્માંતરણનો ભોગ બની રહ્યા છે. હિંદુઓના નીચલા વર્ગને લક્ષ્યાંક બનાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યુ છે. આ રીતે હિંદુ સભ્યતાના પાયા હચમચાવવામાં આવી રહ્યા છે.
તેમણે આ વાત તાજેતરમાં જ હિંદુ સંગઠનોએ ધર્માંતરણ પકડી પાડ્યુ તેના સંદર્ભમાં જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ધર્માંતરણ માટે ગરીબો, આદિવાસીઓ અને સમાજના નીચલા વર્ગના લોકોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ જાગૃત નહીં રહે તો તેમની સભ્યતા ભયમાં મૂકાશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મિશનરીઓ ફોસલાવીને ધર્માંતરણ કરે છે. હિંદુઓ પર વર્ચસ્વ જમાવવાનું કાવતરું ચાલી રહ્યું છે.
જો કે આ પહેલાં પણ તેમણે કેટલાક વર્ષો પહેલા જણાવ્યું હતું કે આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે તો જ બંધારણ છે, બંધારણીય પરંપરા છે, સંવાદની સંસ્કૃતિ છે. કાયદો છે અને નીતિનિયમો છે. આ દેશમાં જે દિવસે ઇસ્લામિક શાસન આવ્યું ત્યારે બંધારણ નહી હોય, બંધારણીય પરંપરા નહી હોય, સંવાદની સંસ્કૃતિ નહી હોય, કાયદો અને નીતિનિયમો નહીં હોય, મય યુગની માનસિક્તા સમાન ઇસ્લામિક કાયદા હશે. તેમના આ નિવેદને તે સમયે છેક રાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી દીધી હતી. આમ હવે તેમણે ફરી પાછા મિશનરીઓ દ્વારા કરવામાં આવતા ધર્માંતરણ પર પ્રહાર કર્યા છે.