ગોધરા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા : અકસ્માતનો ભય

વરસાદની ઋતુમાં ગોધરા શહેરના માર્ગો, બજાર વિસ્તારો, અને સોસાયટીઓના રસ્તાઓ પર મુંગા પશુઓ દિવસ-રાત અડ્ડો જમાવીને બેસી રહે છે. જેના કારણે શહેરીજનોને અવર જવમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. રાત્રિના સમયે રોડ પર બેસેલા પશુઓના કારણે વાહનચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. વાહનો દ્વારા મુસાફરી કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલકો પોતાના ઢોરને આ રીતે જાહેર માર્ગો ઉપર છુટા મુકી દેતા હોઈ ભુતકાળમાં નગરપાલિકા દ્વારા પશુઓને પકડી પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પરંતુ તે બાદ પશુપાલકો થોડાક સમય માટે પોતાના ઢોર ઢાંખરને ગમાણમાં બાંધી રાખતા હતા પરંત્ુ ત્યારબાદ ફરી પોતાના પશુઓને રોડ પર છુટા મુકી દેતા ફરી આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખી ગાયત્રી પરિવાર સિનીયર સિટીઝન બાંકડા ગ્રુપ દ્વારા તંત્રને પગલા ભરવા માંગ કરાઈ છે.