અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં ત્રણ દિવસ અગાઉ મળેલી યુવકની લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે યુવકની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવાતાં અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા કર્યાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ કરતાં મૃતકના પિતરાઈની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાએ હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ મામલે પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડા પંથકના એક ગામનો યુવક ગત અઠવાડિયે ગુમ થયો હતો તે અંગે યુવકના ભાઈએ ભિલોડા પોલીસ મથકે જાણ કરી હતી. દરમિયાન ગત ૩૦મી નવેમ્બરે ગુમ યુવકની લાશ મળી આવતાં પોલીસે લાશનું પંચનામું કરી પીએમ અર્થે સબ ડ્રિસ્ટ્રિકટ હોસ્પિટલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે જિલ્લા એલ.સી.બી. પી.આઈ. સહિત પોલીસની ટીમે તપાસ કરતાં યુવકનું અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું જાણાઈ આવ્યું હતું.
આ કેસમાં પોલીસે તપાસ કરતાં આરોપી પિતરાઈની પત્ની સાથે મૃતક યુવકના આડા સંબંધો હોવાની શંકા ગઈ હતી. આ શંકાના આધારે પિતરાઈએ જ હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ મામલે ભિલોડા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો તેમજ ગુનામાં વપરાયેલું બાઇક અને મોબાઇલ ફોન જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.