બંગાળમાં હુમાયુ કબીરની પાર્ટી ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે, એઆઇએમઆઇએમ અને આઇએસએફ સાથે સંભવિત ગઠબંધનનો ઇરાદો

પશ્ચિમ બંગાળ’વિધાનસભા ચૂંટણી પહેલા, તૃણમૂલ કોંગ્રેસના હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય હુમાયુ કબીર હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે મોટી સમસ્યા ઉભી કરી રહ્યા છે. કારણ કે તેમણે પહેલાથી જ જાહેરાત કરી હતી કે તેઓ અલગથી ચૂંટણી લડશે. તેમણે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ બંગાળની ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી અને એઆઇએમઆઇએમ વચ્ચે ગઠબંધન શક્ય છે.

હુમાયુ કબીરે દાવો કર્યો હતો કે તેઓ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે વાતચીત કરી રહ્યા છે. આગામી દિવસોમાં ઓવૈસીની એઆઇએમઆઇએમ અને ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (આઇએસએફ) સાથે ગઠબંધન શક્ય છે. કબીરે મમતા બેનર્જી પર મુસ્લિમો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણી પરિણામો અત્યંત આઘાતજનક હશે. અગાઉ, કબીરે કહ્યું હતું કે તેમનો પક્ષ, ઉન્નયન પાર્ટી, રાજ્યની ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૧૩૫ બેઠકો પર ચૂંટણી લડશે. તેમનું લક્ષ્ય ઓછામાં ઓછી ૯૦ બેઠકો જીતવાનું હતું.

હુમાયુ કબીરે કહ્યું, અમારું એક જ લક્ષ્ય છે: ભાજપને રોકવાનું. જે લોકો મને દેશદ્રોહી કહી રહ્યા છે, જેમ કે મમતા બેનર્જી, તેમણે દરેક પગલે મુસ્લિમ સમુદાય સાથે દગો કર્યો છે. તેમણે વક્ફ (અધિનિયમ) પર સમુદાય સાથે દગો કર્યો. તેઓએ કહ્યું હતું કે તેઓ એકલા હાથે જ આ કામ સંભાળશે, પરંતુ વાસ્તવમાં, તેમણે લોકો સાથે દગો કર્યો.

હુમાયુએ કહ્યું, ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડીને આપણે કેવા પરિણામો પ્રાપ્ત કરીશું? હું તમને કહું છું, તે એક ચમત્કારિક પરિણામ હશે. પશ્ર્ચિમ બંગાળના વરિષ્ઠ અને અનુભવી રાજકારણીઓ જે પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે આગળ કહ્યું, બંગાળના રાજકારણના ભવિષ્યમાં, હું અને આઇએસએફ સાથે આવી રહ્યા છીએ. જો એઆઇએમઆઇએમ પણ જોડાય છે, તો તેમનું સ્વાગત છે.

તેમણે હજુ સુધી બેઠકોની વહેંચણી અંગે કંઈ જાહેર કર્યું નથી. હુમાયુએ કહ્યું કે તેઓ જેમની સાથે ગઠબંધન અંગે ચર્ચા કરી રહ્યા છે તેઓ વિગતો જાહેર કરે તેની તેઓ ૩૧ ડિસેમ્બર સુધી રાહ જોશે.