
તમારા રસોડામાં વપરાતો મસાલો ખરેખર શુદ્ધ છે કે નહીં તે વિચારવા મજબૂર કરી દેતો એક મોટો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. માધુપુરા જેવા મોટા વેપારી વિસ્તારમાં ફૂડ વિભાગે સપાટો બોલાવીને એક ગોડાઉનમાંથી હજારો કિલો ભેળસેળયુક્ત મસાલા અને ડ્રાયફ્રૂટ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, એએમસીના ફૂડ અને હેલ્થ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે માધુપુરા વિસ્તારમાં આવેલા ‘અવિનાશ મસાલા’ નામના ગોડાઉન પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન અધિકારીઓને શંકાસ્પદ જથ્થો મળી આવતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસમાં અંદાજે ૨૫૦૦ કિલો જેટલી ભેળસેળવાળી હળદર અને ૧૪૦૦ કિલો ટુકડા કાજુનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સીઝ કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા આ શંકાસ્પદ હળદરના નમૂનાઓને લેબોરેટરીમાં પૃથ્થકરણ (ટેસ્ટીંગગ) માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવતા જ ભેળસેળનો મોટો પર્દાફાશ થયો છે. સામાન્ય રીતે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત હળદરમાં કુદરતી સ્ટાર્ચનું પ્રમાણ ૪૦% થી ૬૦% ની આસપાસ હોય છે, પરંતુ અવિનાશ મસાલામાંથી પકડાયેલી હળદરમાં આ પ્રમાણ બમણાથી પણ વધુ એટલે કે ૮૪.૮% નોંધાયું છે! તપાસમાં એ પણ સાબિત થયું છે કે, વધારે નફો કમાવવા અને હળદરનું વજન વધારવા માટે તેમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ (બેસન) જેવા સસ્તા સ્ટાર્ચયુક્ત પદાર્થો ભારે માત્રામાં ભેળવવામાં આવ્યા હતા.
કુલ મળીને ગોડાઉનમાંથી ૩,૯૦૦ કિલો જેટલો અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો કોર્પોરેશન દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે. લેબ ટેસ્ટમાં લોટની ભેળસેળ સાબિત થઈ જતા, હવે ફૂડ વિભાગ દ્વારા સંચાલકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
માધુપુરા જેવા જથ્થાબંધ બજારમાં ભેળસેળિયાઓ ઝડપાતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. એએમસી દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી ડ્રાઈવ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.