
દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજાઈ
સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોટોકોલ સાથે તેમજ ઉનાળા ઋતુને ધ્યાને રાખીને કરવામાં આવે તે અત્યંત જરી-કલેકટર યોગેશ નિરગુડે.
આગામી સમયમાં મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય દાહોદ જીલ્લાના પ્રવાસે પધારનાર હોઈ મુખ્યમંત્રીના સંભવિત તારીખ ૧૫ માર્ચ નારોજ પ્રવાસ કાર્યક્રમના પૂર્વ આયોજન અનુસંધાને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સરદાર પટેલ સભાખંડ, કલેક્ટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજવામાં આવી હતી.આ અન્વયે કલેકટરએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ અન્વયે સીંગવડ ખાતે કાર્યક્રમ કરવામાં આવશે. એ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
કલેકટરએ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોટોકોલ સાથે તેમજ ઉનાળા ઋતુને ધ્યાને રાખીને કરવામાં આવે તે અત્યંત જરી છે, એમ કહેતાં સંબંધિત અધિકારીઓને કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ વ્યવસ્થા, સ્ટેજ સુશોભન, બેઠક વ્યવસ્થા, પાણી, નાસ્તા, જમવા, શોચાલય તેમજ ઈમરજન્સી મેડિકલ ટીમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ સ્થળ પર ઉપલબ્ધ રહે એ મુજબ કામગીરી કરવા સૂચના આપી હતી.
આ બેઠક દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મિણા, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ, દાહોદ નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌહાણ, નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.