
ધાનેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલતા ગેનીબેન ઠાકોરે ફરી એકવાર રાજ્યની દારૂબંધીના કાયદાના અમલને લઈને પોલીસની નીતિ પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતની પોલીસ ધારે તો ૧૨ કલાકમાં દારૂ બંધ કરાવી શકે છે, પણ તેમના હાથ બંધાયેલા છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ વિભાગમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર પર યાન દોરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અહીં હપ્તા રાજ ચાલે છે, ઉપરથી દબાણ ચાલે છે અને હવે તો ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે. આ આક્ષેપો સૂચવે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. વધુમાં ગેનીબેને કટાક્ષ કરતા કહ્યું કે, જે પોલીસ વિભાગમાં વધુ દારૂ વેચે તેમને અભિનંદન અપાય છે.
સાંસદ ગેનીબેન ઠાકોરના મતે, આ સ્થિતિને કારણે ગુજરાત અને ખાસ કરીને ધાનેરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાની વાત કરી છે. તેમણે સરકાર પર નિષ્ફળતાનો આરોપ મૂક્તા કહ્યું કે જો પોલીસને મુક્તપણે અને ઈમાનદારીથી કામ કરવા દેવામાં આવે તો રાજ્યમાં દારૂબંધીનો કાયદો અસરકારક રીતે લાગુ થઈ શકે તેમ છે.
કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં પ્રવર્તમાન કથળેલી કાયદો-વ્યવસ્થા, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર લોકોનો અવાજ બનીને સરકારનું યાન દોરવાનો છે. ગેનીબેન ઠાકોરના આ આકરા નિવેદનોએ રાજ્યના પોલીસ તંત્ર અને સરકારની કામગીરી પર એક મોટો પ્રશ્ર્નાર્થ ઊભો કર્યો છે.