પાટણ જિલ્લામાં નર્મદા નિગમમાં પાણી છોડવા અને કેનાલની સફાઈની ખેડૂતોની માંગ

પાટણ જિલ્લાના રાધનપુરમાં ખેડૂતોને રવિ પાક માટે પાણીની તાતી જરૂરયાત ઊભી થતાં પંથકના ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા છે. રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં પાણી છોડવા અને કેનલની સફાઇ અને સમારકામ કરવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો અને પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને મોટું આથક નુક્સાન થયું. હવે એ નુક્સાનને ભરપાઈ કરવા ખેડૂતોએ ઘણી આશાઓ સાથે રવિ પાકનું હવે વાવેતર કર્યું છે.

અતિવૃષ્ટિને કારણે ખરીફ પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોએ ઘણી આશાઓ સાથે રવિ પાકનું વાવેતર કર્યું છે. રવિ સિઝનને બે મહિના વીતી ગયા છે અને વાવેતર કરેલા પાકો જમીનમાંથી બહાર આવી ગયા છે, ત્યારે તેમને પિયત માટે પાણીની સખત જરૂર છે. ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે પ્રેમનગર ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનાલ હજુ પણ સૂકી ભઠ્ઠ છે. તેમાં સફાઈ કે સમારકામ થયું નથી અને કેનાલ ઠેર ઠેર જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.