ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા ગંભીર કેસમાં કડક વલણ અપનાવ્યું છે. આઝમગઢના મદરેસા શિક્ષક શમસુલ હુદા ખાન, જેમના વર્ષોથી વિદેશમાં રહેવા છતાં પાકિસ્તાન સાથે ગેરકાયદેસર જોડાણ હોવાનું જાણવા મળ્યું છે, તેમને પગાર, તબીબી રજા અને સ્વૈચ્છિક નિવૃત્તિ લાભો પૂરા પાડવા બદલ લઘુમતી કલ્યાણ વિભાગના ચાર વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં લઘુમતી કલ્યાણ વિભાગના સંયુક્ત નિયામક (જેડી) એસ.એન. પાંડે; સાહિત્ય નિકેશ સિંહ, ભૂતપૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમઓ) આઝમગઢ (હાલમાં ગાઝિયાબાદમાં પોસ્ટેડ); લાલમન, ભૂતપૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમઓ) આઝમગઢ (હાલમાં બરેલીમાં પોસ્ટેડ); અને પ્રભાત કુમાર, ભૂતપૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમઓ) આઝમગઢ (હાલમાં અમેઠીમાં પોસ્ટેડ)નો સમાવેશ થાય છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન તમામ અધિકારીઓને લખનૌ અને ઝાંસીમાં પોસ્ટેડ કરવામાં આવ્યા છે.
શમસુલ હુદા ખાન આઝમગઢના પ્રખ્યાત દારુલ ઉલૂમ અહલે સુન્નત અશરફિયા મિસ્બાહુલ ઉલૂમમાં શિક્ષક હતા. તેમણે ૧૯ ડિસેમ્બર, ૨૦૧૩ ના રોજ બ્રિટિશ નાગરિક્તા મેળવી હતી, પરંતુ મદરેસા મેનેજમેન્ટ અને વિભાગીય અધિકારીઓ વચ્ચેની મિલીભગત દ્વારા આ હકીક્ત છુપાવવામાં આવી હતી. આમ છતાં, તેમણે ૩૧ જુલાઈ, ૨૦૧૭ સુધી પગાર લેવાનું ચાલુ રાખ્યું. ગેરહાજર હોવા છતાં પણ તેમને અનિયમિત તબીબી રજા આપવામાં આવી હતી.વીઆરએસ લીધા પછી પણ તેમને જીપીએફ પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો મળતા રહ્યા.
આ સમય દરમિયાન, બ્રિટનમાં રહીને, તેમણે ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને શ્રીલંકાની યાત્રા કરી, અને ખાડી દેશોમાંથી બે-ત્રણ વખત પાકિસ્તાનની મુલાકાત પણ લીધી. યુપી એટીએસની તપાસમાં શમસુલ હુદા ખાનના પાકિસ્તાન સાથે ગેરકાયદેસર સંબંધોનો ખુલાસો થયો, જેના કારણે મામલો વધુ વકર્યો.
શિક્ષક શમસુલ હુદા ખાન પાસેથી ૧૬.૫૯ લાખની વસૂલાતના આદેશો પહેલાથી જ જારી કરવામાં આવ્યા છે. ચારેય અધિકારીઓને વિભાગીય તપાસ હેઠળ લાવવામાં આવ્યા છે. વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સામે વધુ કાર્યવાહી થઈ શકે છે.