કેન્દ્ર સરકારે દિવસની ૦.૨ ટીએમટી એલપીજી ગેસ આપવા છૂટ આપવામાં આવી છે

ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. ત્યારે ૧૪ દિવસ માટે યુદ્ધ રોકાયું છે ત્યારે કેન્દ્ર સરકારે હાલ એક મોટો નિર્ણય લીધો છે. ઈન્ડસ્ટ્રીમાં એલપીજી સપ્લાયની છૂટ અપાઈ છે. આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે. કેન્દ્ર સરકારે દિવસની ૦.૨ ટીએમટી એલપીજી ગેસ આપવા છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે તમામ રાજ્યોને પત્ર લખી જાણ કરી દીધી છે. આ સાથે જ ગુજરાતમાં સિરામિક, ડેરી સહિત અનેક ઉદ્યોગોને લાભ થશે.

ગુજરાત સહિત દેશભરના ઉદ્યોગો માટે કેન્દ્ર સરકાર તરફથી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ, કેન્દ્ર સરકારે એલપીજી સપ્લાયને લઈ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. હવેથી વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ એલપીજી ગેસના સપ્લાય માટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે આ બાબતે તમામ રાજ્યોને સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે. સરકારની નવી સૂચના મુજબ ફાર્માસ્યુટિકલ (દવા ઉદ્યોગ), ફૂડ પ્રોસેસિંગ, હેવી મેટલ (ભારે ધાતુ ઉદ્યોગ) અને એગ્રિકલ્ચર (ખેતી આધારિત ઉદ્યોગો) જેવા સેક્ટર્સમાં જરૂરી સપ્લાય પૂરો પાડવામાં આવશે. સરકારે આ નિર્ણય અંતર્ગત હવે દરરોજની ૦.૨ ટીએમટી  એલપીજી ગેસ આપવાની છૂટ આપી છે. આ પગલાથી ઈન્ડસ્ટ્રીમાં ઇંધણની અછત દૂર થશે અને ઉત્પાદન પ્રક્રિયામાં ગતિ આવશે. ખાસ કરીને એવા ઉદ્યોગો કે જેઓ ક્લીન એનર્જી તરીકે ગેસ પર નિર્ભર છે, તેમના માટે આ સંજીવની સમાન સાબિત થશે.

આ નિર્ણયની સૌથી સકારાત્મક અસર ગુજરાત પર જાવા મળશે. ગુજરાતના મુખ્ય ઉદ્યોગો જેવા કે મોરબીનો સિરામિક ઉદ્યોગ જે ગેસના ભાવ અને સપ્લાય પર નિર્ભર છે, તેને આ નિર્ણયથી મોટી રાહત મળશે. એશિયાની સૌથી મોટી ડેરીઓ ગુજરાતમાં આવેલી છે, જ્યાં પ્રોસેસિંગ માટે ગેસની જરૂરિયાત રહે છે. રાજ્યના અન્ય નાના-મોટા ઉદ્યોગોમાં પણ આ સપ્લાયથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની સંભાવના છે.