કર્ણાટકમાં નેતૃત્વના મુદ્દા પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લેવાનો છે,સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોમવારે કહ્યું કે મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય આખરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી હાઈકમાન્ડ પર રહે છે, અને દરેક વ્યક્તિ તેમના નિર્ણયનું પાલન કરશે. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમણે હાઈકમાન્ડ સાથે વાત કરી છે અને નેતૃત્વએ તેમને કહ્યું છે કે તેઓ આ અંગે નિર્ણય લેશે. મુખ્યમંત્રીનું આ નિવેદન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના એક દિવસ પછી આવ્યું છે જ્યારે તેમણે કહ્યું હતું કે પાર્ટીના કર્ણાટક યુનિટમાં નેતૃત્વના મુદ્દા અંગે મૂંઝવણ ફક્ત સ્થાનિક સ્તરે છે, પાર્ટી હાઈકમાન્ડની અંદર નહીં.

ડગેએ કહ્યું હતું કે સ્થાનિક નેતાઓએ હાઇકમાન્ડને દોષ આપવાને બદલે આંતરિક વિવાદોની જવાબદારી લેવી જોઈએ. ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સિદ્ધારમૈયાએ પત્રકારોને કહ્યું, “મને આની જાણ નથી. રાહુલ ગાંધી અને હાઇકમાન્ડે નિર્ણય લેવાનો છે. તેઓ જે પણ નિર્ણય લેશે, હું તેના માટે પ્રતિબદ્ધ રહીશ.” તેમણે કહ્યું, “મેં હાઇકમાન્ડ સાથે વાત કરી છે. તેઓએ કહ્યું છે કે તેઓ નિર્ણય લેશે. હાઇકમાન્ડ જે પણ નિર્ણય લેશે, હું તેનું પાલન કરીશ. ૨૦ નવેમ્બરે કોંગ્રેસ સરકારનો અડધો કાર્યકાળ પૂર્ણ થયા પછી મુખ્યમંત્રીમાં ફેરફાર થવાની અટકળો વચ્ચે શાસક પક્ષમાં સત્તા સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. જ્યારે મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું કે નેતૃત્વના મુદ્દા પર સ્પષ્ટતા ક્યારે અપેક્ષિત છે, ત્યારે સિદ્ધારમૈયાએ કહ્યું, “જ્યારે પણ હાઇકમાન્ડ નિર્ણય લેશે.” જ્યારે તેઓ પૂરા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે કે કેમ તે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, “તે અલગ બાબત છે. હાઇકમાન્ડ જે પણ નિર્ણય લેશે…”

તેમણે કહ્યું કે મીડિયા આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે, તેમ છતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાઇકમાન્ડનો નિર્ણય અંતિમ માનવામાં આવશે અને દરેક વ્યક્તિ તેનું પાલન કરશે. તેમણે કહ્યું, “આ મુદ્દા પર આટલા બધા પ્રશ્ર્નો કેમ પૂછવા? મેં વિધાનસભામાં જે કહેવાનું હતું તે કહી દીધું છે, તો આની ચર્ચા કેમ થઈ રહી છે?”

ખડગેના આ નિવેદન અંગે કે કોઈ પણ વ્યક્તિ પક્ષથી મોટો નથી અને પક્ષ એક વ્યક્તિના કારણે સત્તામાં આવ્યો નથી, સિદ્ધારમૈયાએ કહ્યું, “હા, બધાએ આ સ્વીકારવું જોઈએ. પક્ષથી કોઈ પણ મોટો ન હોઈ શકે.”