ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ તબીબી સારવારનો લાભ:લાભાર્થી માટે ચોક્કસ શરતો નક્કી કરવામાં આવી, અત્યાર સુધી માતા-પિતા અને સંતાનોને જ લાભ મળતો

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2002 હેઠળ ‘કુટુંબ’ ની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

“કુટુંબ” ની વ્યાખ્યામાં સુધારો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.24 ઓગસ્ટ, 2015ના ઠરાવથી લાગુ કરેલ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015ના નિયમ-2.2માં આપવામાં આવેલ “કુટુંબ” ની વ્યાખ્યાને બદલે તેના સ્થાને ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, 2002 ના નિયમ-9(26)માં આપવામાં આવેલ નીચે મુજબની “કુટુંબ” ની વ્યાખ્યા લાગુ પાડવાની રહેશે.

“કુટુંબ” એટલે યથાપ્રસંગ, સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની અગર પતિ તેમજ તેની સાથે રહેતા અને સર્વથા તેના ઉપર આધારિત ઔરસ કે સાવકા બાળકો. આ ઉપરાંત તેના માતા પિતા, બહેનો, સગીર ભાઈઓ કે જેઓ સાથે રહેતા હોય અને તેના ઉપર સર્વથા આધારિત હોય તેઓનો પણ તેમાં સમાવેશ થાય છે.

“કુટુંબ” શબ્દમાં આ નિયમોના હેતુ માટે, એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી.

સરકારી કર્મચારીના અંગત કાયદા હેઠળ જો દત્તક વિધિ ગ્રહણ કાયદેસર ગણાતી હોય અને તેથી દત્તક લીધેલ બાળકને ઔરસ બાળકનો દરજ્જો પ્રાપ્ત થતો હોય, તો તેણે દત્તક લીધેલ બાળકને કાયદેસર ઔરસ બાળક ગણવામાં આવશે.

ઔરસ કે ઓરમાન બાળક, માતા-પિતા, બહેન, સગીર ભાઈ જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય અને જેમની બધા સ્ત્રોતોથી થતી પેન્શન સહિતની (પેન્શન ઉપર મળવાપાત્ર થતા હંગામી વધારા સહિતની) માસિક આવક રૂ.500થી વધુ થતી ન હોય તેવા સભ્યો સરકારી કર્મચારી ઉપર પૂર્ણત: આશ્રિત” ગણાશે.

સરકારના નિર્ણય અનુસાર હવે સરકારી કર્મચારી સાથે રહેતા અને તેના પર આર્થિક રીતે આધારિત પરિવારના સભ્યોને સારવાર સંબંધિત લાભોમાં સમાવેશ કરવામાં આવશે. નવા સુધારા મુજબ કર્મચારી સાથે રહેતા માતા-પિતા, પત્ની અથવા પતિ, સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ‘કુટુંબ’ તરીકે ગણાવવા માટે સંબંધિત સભ્ય કર્મચારી સાથે રહેતો હોવો જોઈએ અને તેની માસિક આવક નક્કી મર્યાદા કરતાં વધુ ન હોવી જોઈએ. આવક મર્યાદા રૂ. 500થી વધુ હોય તો તે સભ્યને સરકાર કર્મચારી પર નિર્ભર ગણવામાં આવશે નહીં.

આ સુધારા બાદ હવે સરકારી કર્મચારીઓને તબીબી સારવાર માટે મળતા લાભોમાં વધુ સ્પષ્ટતા આવશે અને નિર્ભર પરિવારના સભ્યોને પણ યોગ્ય સારવાર સુવિધાનો લાભ મળી શકશે. સરકારે જણાવ્યું છે કે નિયમોમાં કરાયેલ આ સુધારો તરત જ અમલમાં આવશે.