
બહાદરપુર અને ગામડી વચ્ચે આવેલા સસ્તા અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં આજે સવારે અનાજ ભરેલી એક ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. આ ઘટના નવોદય સ્કૂલ પાસેના ગોડાઉન ખાતે બની હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકનો ડ્રાઈવર સવારે કેબિનમાં બેસીને રસોઈ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ડ્રાઈવર સમયસૂચકતા વાપરીને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આગ લાગવાની જાણ બહાદરપુર APMCના પ્રમુખ ભૌમિકભાઈ દેસાઈને કરવામાં આવતા, તેમણે તાત્કાલિક બહાદરપુર-સંખેડા APMCના ફાયર બ્રિગેડને ઘટના સ્થળે મોકલ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ સળગતા ટ્રકના કેબિનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ ગોડાઉનના કર્મચારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.