
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં શનિવારે રાત્રે એક દુખદ અકસ્માત સર્જાયો હતો. ઘરેલુ ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાથી આગ લાગી,જે પછી સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે,જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટના શાહવાડી વિસ્તારની સત્યમ નગર સોસાયટીમાં એક મકાનમાં બની હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, રસોઈ દરમિયાન અથવા અન્ય કારણોસર ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થયું હતું. લીકેજને કારણે આગ લાગી અને ત્યાર પછી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.જેમાં આગની લપેટમાં આવેલા ત્રણ વ્યક્તિઓમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા,જ્યારે ત્રીજા વ્યક્તિને ગંભીર રીતે દાઝી ગયો હોવાથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મૃતકો અને ઈજાગ્રસ્તની ઓળખાણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
આ સાથે જ આજે સિંગરવા વિસ્તારમાં આવેલી સાગર કેમિકલ્સ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી જતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર અને ઇમર્જન્સી સવસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.