
જામનગર શહેરના રણજીત સાગર માર્ગ નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં ત્રણ ગાયોના શરીર પર ગાંઠો જાવા મળતાં લમ્પી રોગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પશુપાલકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. હાલ પશુઓની તબીબી તપાસ બાદ જ રોગની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.
પશુ આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લમ્પી રોગથી અસરગ્રસ્ત પશુઓમાં શરીર પર ગાંઠો, ભારે તાવ, દૂધ ઉત્પાદનમાં ઘટાડો, પગમાં સોજા તેમજ આંખ અને નાકમાંથી પ્રવાહી નીકળવા જેવા લક્ષણો જાવા મળે છે. આવા લક્ષણો દેખાય તો સંક્રમિત પશુને અન્ય પશુઓથી અલગ રાખીને તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવાની સલાહઆપવામાં આવે છે.
સ્થાનિક પશુપાલકોએ પશુ આરોગ્ય વિભાગને ત્રણેય ગાયોની તાત્કાલિક તપાસ કરીને જરૂરી સારવાર શરૂ કરવાની માંગ કરી છે. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં સર્વે, દવાઓનો છંટકાવ અને અન્ય સાવચેતીના પગલાં ઝડપી લેવામાં આવે જેથી સંભવિત સંક્રમણને સમયસર રોકી શકાય.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ લમ્પી રોગ મુખ્યત્વે મચ્છર, માખી, ઈતરડી અને અન્ય જીવજંતુઓના કરડવાથી ફેલાય છે. દૂષિત ખોરાક અથવા પાણીના સંપર્કથી પણ સંક્રમણનું જાખમ વધી શકે છે. તેથી પશુપાલકોને પશુઓના રહેઠાણમાં સ્વચ્છતા જાળવવા, જીવજંતુ નિયંત્રણ કરવા અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તરત જ પશુચિકિત્સકને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.