રાજકોટમાં ફરી એકવાર ભાજપનો ‘લેટર બોમ્બ’! પોતાની જ પાર્ટી સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

રાજકોટ જિલ્લામાં ભાજપમાં આંતરિક સંઘર્ષો સતત ચાલુ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને જિલ્લા પંચાયત સભ્ય અર્જુન ખટરિયાએ જમીન સર્વેક્ષણ વિભાગ સામે ભ્રષ્ટાચારના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. તેમણે સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહેસૂલ મંત્રી ૠષિકેશ પટેલ, જિલ્લા કલેક્ટર અને એસીબીને પત્ર લખીને ખેડૂતોને હેરાન કરવાની ફરિયાદ કરી છે અને પુન: સર્વેક્ષણની માંગણી કરી છે.

અર્જુનભાઈએ પત્રમાં લખ્યું છે કે, “આ લોકો ખેડૂતોને એટલા હેરાન કરે છે કે તેઓ આખરે તેમને છુટકારો મેળવવા માટે પૈસા ચૂકવે છે. આ ભ્રષ્ટાચાર વ્યાપક છે.” નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં, રાજકોટમાં ઘણા ભાજપના નેતાઓએ પોતાની સરકાર અને વહીવટ સામે “લેટર બોમ્બ” શરૂ કર્યા છે. આનાથી પ્રશ્ર્ન ઉભો થાય છે: શું ભાજપમાં બધું બરાબર નથી? અને શું ખરેખર ડીએલઆર વિભાગમાં આટલો વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયેલો છે? કલેક્ટર અને એસીબીએ હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, ખેડૂતોમાં ગુસ્સો વધી રહ્યો છે, અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ તંગ બનવાની શક્યતા છે.