બિનસત્તાવાર પરિણામો અનુસાર, શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) એ પેટાચૂંટણીઓમાં જંગી વિજય મેળવ્યો છે, ૧૩ માંથી ૧૨ બેઠકો પર કબજો કર્યો છે. પેટાચૂંટણીઓ છ રાષ્ટ્રીય વિધાનસભા બેઠકો અને સાત પંજાબ પ્રાંતીય વિધાનસભા બેઠકો માટે યોજાઈ હતી. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરિપુર વિસ્તારમાં એક બેઠક સિવાય, બાકીની બધી રાષ્ટ્રીય વિધાનસભા બેઠકો પંજાબમાં હતી.
જે છ રાષ્ટ્રીય વિધાનસભા બેઠકો પર મતદાન થયું તેમાં એનએ-૧૮ (હરિપુર),એનએ-૯૬ અને એનએ-૧૦૪ (ફૈસલાબાદ), એનએ-૧૨૯ (લાહોર), એનએ-૧૪૩ (સાહિવાલ) અને એનએ-૧૮૫ (ડેરા ગાઝી ખાન)નો સમાવેશ થાય છે. જે સાત પંજાબ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ તેમાં પીપી-૭૩ (સરગોધા),પીપી-૮૭ (મિયાનવાલી), પીપી-૯૮,પીપી-૧૧૫, ઁઁ-૧૧૬ (ફૈસલાબાદ),પીપી-૨૦૩ (સાહિવાલ) અને પીપી-૨૬૯ (મુઝફરગઢ)નો સમાવેશ થાય છે.
દુનિયા ન્યૂઝ ટીવી અનુસાર, બિનસત્તાવાર પરિણામો દર્શાવે છે કે પીએમએલ-એનએ મુઝફરગઢમાં એક સિવાય બધી બેઠકો જીતી છે. મુઝફરગઢ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ગયું. પંજાબ વિધાનસભા મતવિસ્તાર પીપી-૨૬૯ મુઝફરગઢના બિનસત્તાવાર પરિણામો અનુસાર, પીપીપીના મિયાં આલમદાર અબ્બાસ કુરેશી ૫૫,૮૬૮ મતો સાથે જીત્યા, જ્યારે તેમના હરીફ અને અપક્ષ ઉમેદવાર મોહમ્મદ ઇકબાલ ખાન પિતાફી બીજા ક્રમે રહ્યા. ૯ મેના રોજ થયેલી હિંસા સંબંધિત કેસોમાં દોષિત ઠેરવવામાં આવેલા પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના ઘણા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ પેટાચૂંટણીઓ યોજાઈ હતી. મુખ્ય વિપક્ષી પાર્ટી, પીટીઆઈ, મોટાભાગની ચૂંટણીઓમાં ગેરહાજર રહી. દુનિયા ન્યૂઝ અનુસાર, મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું પરંતુ મતદાન પ્રમાણમાં ઓછું હતું. પીએમએલ-એનના કાર્યકરોએ મીઠાઈઓ વહેંચીને અને ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી.