
પ્રાકૃતિક ખેતી અપનાવી ડાંગરના પાકમાં બજારભાવ કરતા દોઢી આવક મેળવતા માલવણ ગામના દિલીપભાઈ ખાંટ.
બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતા પ્રગતિશીલ ખેડૂતે બાયો રિસોર્સ સેન્ટર થકી અન્ય ખેડૂતો માટે પણ પ્રાકૃતિક ખેતીનો માર્ગ મોકળો કર્યો.

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામના ખેડૂત દિલીપભાઈ જુવાનભાઇ ખાંટ વ્યવસાયે સ્થાનિક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવે છે. હોસ્પિટલની સેવા દરમિયાન તેમણે અનેક દર્દીઓને ગંભીર અને જીવલેણ બીમારીઓથી પીડાતા જોયા હતા. આ રોગોના મૂળમાં રાસાયણિક આહાર હોવાનું સમજાતા, તેમણે લોકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. માનવ સેવાની આ ભાવના સાથે તેઓ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાથે જોડાયા હતા. છેલ્લા ચાર વર્ષથી તેઓ પોતાની ઓછી જમીન હોવા છતાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી અનાજ અને શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે.

દિલીપભાઈએ પ્રાકૃતિક ખેતી માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ તબક્કાવાર તાલીમ મેળવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવા પ્રયોગોની માહિતી મેળવીને ખેતીમાં અમલ કર્યો હતો. સરકારની દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાનો લાભ મેળવી તેઓ પશુપાલન સાથે કૃષિ કાર્ય કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં તેમની આ મહેનત અને સફળતાને બિરદાવતા સરકાર દ્વારા તેમને તાલુકા કક્ષાના બેસ્ટ ફાર્મર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમણે બાયો રિસોર્સ સેન્ટર યોજનાનો લાભ લઈ જીવામૃત, ઘનજીવામૃત અને વિવિધ રોગપ્રતિકારક અસ્ત્રોનું ઉત્પાદન શ કર્યું છે, જેનો ઉપયોગ તેઓ સ્વયં કરવા ઉપરાંત અન્ય ખેડૂતોને પણ કરાવી રહ્યા છે.

ખેતીના અનુભવો વિશે વાત કરતા દિલીપભાઈ જણાવે છે કે, તેઓ ડાંગરના પાકમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ કરતા નથી. પ્રાકૃતિક પદ્ધતિથી તેઓ વિઘા દીઠ અંદાજે ૭૦ મણ જેટલું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. આ ડાંગરનું મૂલ્યવર્ધન કરી તેઓ સીધા ચોખા બનાવી ગ્રાહકોને વેચે છે, જેનાથી તેમને બજાર ભાવ કરતા દોઢી કિંમત પ્રાપ્ત થાય છે. રવિ સીઝનમાં પણ તેઓ ઘઉં, ચણા અને વિવિધ શાકભાજીનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવીને સીધા વેચાણ દ્વારા રોજિંદી સારી આવક મેળવી રહ્યા છે. તેમના ઉત્પાદનો પર આસપાસના ગ્રામજનોને અતૂટ વિશ્ર્વાસ હોવાથી ખેત પેદાશોની ભારે માંગ રહે છે. આમ, દિલીપભાઈ ધરતી અને સ્વાસ્થ્ય બંનેને બચાવવાનું ઉમદા કાર્ય કરી અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.