મહેસાણાના બહુચરાજીના નવા દેલવાડા નજીક આઇસરે આઠને કચડ્યા, બેનાં મોત

મહેસાણાના બહુચરાજીના નવા દેલવાડા નજીક અકસ્માત થતાં બેના મોત થયા છે. બહુચરાજી મંદિરે પૂનમના મેળામાં જતાં સંઘનો અકસ્માત થયો છે. સિદ્ધપુરના ધનાવાડા ગામનો સંઘ પગપાળા જતો હતો. આઇસર ટ્રક ચાલકે આઠ પદયાત્રીઓને હડફેટે લીધા હતા.

મોડી રાત્રે થયેલા અકસ્માતમાં બે પદયાત્રીઓના મોત થયા હતા. પાંચ પદયાત્રીઓને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બતાવે છે કે વાહનચાલકો રસ્તા પર કેવી રીતે બેફામપણે વાહન ચલાવે છે.

આ અકસ્માતના પગલે તરત જ સંઘ આગળ જતાં અટકી ગયો હતો. સ્થાનિકો પણ તરત દોડી આવ્યા હતા. તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સે અકસ્માતનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર આપીને તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેના લીધે બીજા લોકોને જીવ બચ્યો હતો, પરંતુ બે જણા તો ઇજાઓના લીધે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

અકસ્માત સ્થળે આઘાત અને સ્તબ્ધતાનો માહૌલ હતો. પહેલા તો સંઘના લોકોને ખબર જ ન પડી કે અચાનક શું થયું છે, કાળમુખી આઇસર અંધારામાં યમદૂતની જેમ ધસી આવી અને પદયાત્રીઓ પર ફરી વળી. કચડાયેલાઓને હટવાની પણ તક ન મળી હતી, તેમની મરણચીસોથી આખુ વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. ઘટનાસ્થળે બધા વિમાસણમાં પડી ગયા હતા કે શું કરવું અને શું ન કરવું. વર્ષોથી નિયમિત રીતે જતા સંઘમાં આ પ્રકારનો દુઃખદાયક બનાવ પહેલી વખત બન્યો હતો.

પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેણે તાત્કાલિક પંચનામુ કર્યુ હતુ અને ઘવાયેલાઓને સિવિલ હોÂસ્પટલ વધુ સારવાર માટે મોકલ્યા હતા. પોલીસે ભાગેલા આઇસર ચાલક સામે અકસ્માત ગુનો નોંધ્યો છે. હવે તેને પકડવા માટે તપાસ આદરી છે. આ માટે નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ પણ ખંગોળવા માંડ્યા છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી લઇશું. આ અકસ્માત ઉદાહરણ છે કે રાજ્યમાં વાહન અકસ્માતની વણથંભી પરાપરા જાણે અવિરત જારી છે, અટકવાનું નામ જ લેતી નથી.