
ગુજરાતમાં અકસ્માતનો હારમાળા વચ્ચે હાલ વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક પીકઅપ ગાડી પલટી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ગાડીમાં સવાર ૬ લોકોના કરુણ મોત નિપજ્યા છે. ત્યારે આ અકસ્માતની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, પરિવાર આણું વાળી પરત ગામ જઈ રહ્યો હતો એ દરમિયાન જ અકસ્માત નડ્યો હતો. જેમાં ૬ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે કેટલાકને નાની મોટી ઇજા થઈ હતી. જેમાં પરિવાર અને સગા સંબંધીઓ અકસ્માતનો ભોગ બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ ૧૦૮ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઢોળાવ વાળા રસ્તા પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ પીકઅપ ગાડી પલટી મારી ગઈ હતી. જેને કારણે અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલ ગિરનારા ગામના હતા જેઓ કોલવેરા આણું વાળવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. ત્યારે આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. સાથે જ પોલીસે પણ ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.